લાલપાર્ક આહીર ચોક પાસે બાકી ભાડાની ઉઘરાણી કરતા પેસેન્જરએ રિક્ષાચાલકને છરી ઝીંકી
Rajkot,તા.07
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ રાત્રિના સમયે હિંસક હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં લાલપાર્ક આહીર ચોક પાસે બાકી નીકળતા ભાડાના પૈસા માંગવા બાબતે એક ડ્રાઈવર પર છરી વડે અને જંગલેશ્વર વિસ્તારમાં પાનની દુકાનનું કેરેટ કેમ તોડ્યું તેમ પૂછતા દુકાનદાર પર તલવાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી દેવાતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ન્યુ લાલ બહાદુર મેઇન રોડ, પાણીના ટાંકા સામે રહેતા વિજયભાઈ દિનેશભાઈ વાગડીયા (ઉં.વ. ૪૫) રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં લાલપાર્ક આહીર ચોક ખાતે હાજર હતા. આ દરમિયાન વિજયભાઈએ ગોપાલ પાસેથી અગાઉનું બાકી રહેલું ભાડું માંગ્યું હતું, જેનો ખાર રાખીને ગોપાલ અને તેની સાથેના માણસોએ વિજયભાઈને ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
બીજા બનાવમાં જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણ નગર શેરી નંબર-૭ માં રહેતા અને પાનની દુકાન ચલાવતા દિનેશભાઈ લાભુભાઈ હુંબલ (ઉં.વ. ૩૫) પોતાના ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને તલવાર વડે તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો. ભોગ બનનાર દિનેશભાઈના જણાવ્યા મુજબ, ગઈકાલે આસિફ નામના શખ્સે તેમની દુકાને આવીને કેરેટ તોડી નાખ્યા હતા. બીજા દિવસે દિનેશભાઈએ ‘આ કેરેટ કોણે તોડ્યા છે?’ તેવી પૂછપરછ કરતા જ, આસિફ અને તેના સાગરીતો કારણોસર ધસી આવ્યા હતા અને તલવાર વડે હુમલો કરી માર માર્યો હતો. આ બંને ઘટનાઓ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

