Morbi,તા.17
મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડતા સારું નહિ લાગતા બે યુવાનોએ આધેડને પકડી રાખી એક યુવાને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ બનાવ મામલે પોલીસે ફરિયાદ બાદ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લઇ ઘટના સ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું ઃ રિમાન્ડ માટે તજવીજમોરબીના સામાકાંઠે આનંદનગર હનુમાનજી મંદિર પાછળ રહેતા ગીરીરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ (ઉ.વ.૩૪)એ આરોપીઓ મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણ મિયાણા (રહે. ખીરઈ), જાકીર બચું સંધી અને ઇકબાલ હૈદર જેડા (રહે. બંને મોરબી) એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી ત્રાજપર ચોકડી પાસે આવેલ ભગવતી ચેમ્બર્સ ખાતે જય અમરનાથ રોડવેઝ નામે ભાડાની ઓફીસ ચલાવી ટ્રાન્સપોર્ટ કામકાજ કરે છે. ગત રાત્રીના સાડા આઠેક વાગ્યે ઓફિસે હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઇ જમીને ઓફિસે આવતા તે જમવા ઘરે ગયો હતો. તે જમીને ઓફિસે પાછો આવતા તેના પિતાએ વાત કરી કે ત્રણ છોકરાઓ અહી આપણી ઓફીસની ગેલેરીમાં સુવા માટે આવતા તેને ના પાડી હતી. જેથી બોલાચાલી કરવા લાગ્યા હતા જેથી ઓફિસની બાજુવાળા મોહનસિંહના દીકરા સંદીપસિંહ ઉર્ફે લાલાભાઈ તથા દેવેન્દ્રસિંહ દિલીપસિંહ અને નીચે ગેરેજ ધરાવતા દિલીપભાઈ ઓડેદરાને બોલાવ્યા હતા.
ત્રણે’ય છોકરાઓને પૂછયું કે અહિંયા શા માટે આવ્યા તો તેઓએ કહ્યું કે ઓફિસની બાજુમાં ગેલેરીમાં સુવું છે. જેથી સંદીપસિંહે નામ પૂછતાં મુસ્તાક મિયાણા, જાકીર સંધી અને ઇકબાલ જેડા હોવાનું જણાવ્યું હતું. તમે અહિંયા શા માટે આવ્યા છો તેમ પૂછતા મજુરી કામ કરીએ છીએ. અને ત્રણ ચાર દિવસથી અહિયાં સુવા માટે આવીએ છીએ તેમ કહેતા તેેમ કહેતા તેઓને સમજાવ્યા હતા. અને બાદમાં ત્રણેય જતા રહ્યા હતા.
બાદમાં પોણા બારેક વાગ્યે ફરિયાદી યુવાન પોતાના ઘરે હતો ત્યારે દિલીપ ઓડેદરાએ ફોન કરી જણાવ્યું કે જલ્દી ઓફિસે આવો, તમારા પિતા જેઠીગીરી સાથે ત્રણે’ય છોકરાઓએ ઓફીસની ગેલેરીમાં સુવા આવતા ઝઘડો કરી છરીના ઘા મારી દીધા છે. ઘવાયેલા જેઠીગીરી ગોસાઈને હોસ્પિટલ લઇ આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
નજીવી બાબતે આધેડની હત્યા કરનાર ત્રણેય આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને આજે સાંજે આરોપી મુસ્તાક મિયાણા, જાકીર સંધી અને ઇકબાલ જેડાને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું તેમજ ત્રણેય આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે તેવી માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.