Jamnagar, તા. 24
કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર” વિકાસ કામગીરીના ફેઝ- 1 નું ગઈકાલે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત મંદિર પરિસરનો બે ફેઝમાં વિકાસ કરવામાં આવશે. આ માટે રૂપિયા 25 કરોડની ફાળવણી થઈ છે. ત્યારે આજરોજ “હર્ષદ માતા મંદિર પરિસર” ફેઝ-1 નું રૂ .8 કરોડથી વધુ રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
જે પ્રારંભિક તબક્કો છે જેને હજુ પણ વધારે વિકાસ કરવાનું અને યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ મળે તે માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણ થકી પ્રગતિના અભિગમને રાજ્ય સરકાર મક્કમતા સાથે આગળ ધપાવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં પ્રવાસન સ્થળે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનતા દેશ વિદેશથી પ્રવાસીઓ પધારી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ધાર્મિક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો ઉતરોત્તર વધી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રની વાત આવે એમ આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ ક્યાંય પાછળ રહે તેમ નથી.
ભગવાન દ્વારકાધીશની આ ભૂમિમાં આવેલ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, હરસિદ્ધિ વન, બરડો ડુંગર સહિત અનેક પ્રવાસન સ્થળો પ્રવાસીઓના માનીતા ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથથી દ્વારકા સુધીમાં વચ્ચે આવતા પ્રવાસન સ્થળોને ટુરિસ્ટ સર્કીટ તરીકે વિકસાવી સ્થાનિક ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે વિશાળ દરિયાકાંઠો હોવાથી એડવેન્ચર ટુરિઝમની પણ વિપુલ સંભાવનાઓ રહેલી છે.
ઉપરાંત, પવન અને સૌર ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ દ્વારકા જિલ્લામાં અનેક તકો રહેલી છે જે દિશામાં સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પ્રવાસીઓ માટે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવતા સ્થાનિકોને પણ રોજગારી મળી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણમે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે. સરકાર દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવાસન સ્થળો વિકાસ કરી સર્વગ્રાહી વિકાસની નેમ ને ખરા અર્થમાં સાર્થક કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન સ્થળો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આપણી એક જવાબદાર નાગરિક તરીકે ફરજ છે કે પર્યાવરણીય તેમજ સ્વચ્છતાની દ્રષ્ટિએ તેની જાળવણી કરવી જોઈએ.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજ્ય પ્રવાસન નિગમના પ્રોજકેટ મેનેજર અજિત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર આર.એચ. સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, પી.એસ.જાડેજા, રણમલભાઈ માડમ, દેવાતભાઈ ગોજીયા, સગાભાઈ રાવલીયા વિગેરે સાથે હર્ષદ માતા મંદિરના પૂજારીઓ, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે ફેઝ-1 અંતર્ગત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેમાં ટેક્સી, કાર અને ટુ-વ્હિલર પાર્કિંગ, ટોયલેટ બ્લોક, રાહદારીઓની શેરી, નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને વડીલોને બેસવા માટે ગઝેબો, બીચ શેક સહિત અન્ય સુવિધાઓ વિકસાવાશે.