નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ અર્થે કોઈ હુમલા સમયની મોકડ્રીલ તા.૭ ના યોજાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદો પર વધતી તંગદિલી વચ્ચે કોઈ હવાઈ હુમલા થાય તો શું કરવું અને શું ન કરવું તેનાથી લોકોને માહિતગાર કરવામાં આવશે
આજથી આશરે ૫૪ વર્ષ પહેલા યુઘ્ધ સમયે કેવો માહોલ હતો તેની યાદ અપાવશે મોકડ્રીલ જેમાં એલર્ટ સાયરન વાગશે, અંધારપટ સમયે કેવા પગલા લેવા તેનાથી લોકોને માહિતગાર કરાશે
New Delhi, તા.૫
ભારતની ભૂમિમાં પાકિસ્તાન સમર્થિત અને પ્રેરિત પ્રતિબંધીત ત્રાસવાદી સંગઠનો પોતાની નવી પાંખો ઉભી કરી ભારતમાં સમયાંતરે ત્રાસવાદી હુમલાઓ કરાવતુ રહે છે. ભારતે પાકિસ્તાને વર્ષ ૧૯૭૧ ના યુઘ્ધમાં ધૂળ ચટાવ્યા બાદ ઘોર પરાજયનો બદલો લેવા પાકિસ્તાની સરકાર ત્થા લશ્કરી વડાઓ તેમજ આઈ.એસ.આઈ. દ્વારા પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે હુમલાઓના અનેક કાવત્રાઓ ઘડી ભૂતકાળમાં હુમલો કરેલ તાજેતરમાં કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદીઓ દ્વારા સર્જવામાં આવેલ નિર્દોષ પ્રવાસીઓ નરસંહાર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તંગદિલીનું વાતાવરણ સર્જાયુ છે. આશરે ૫૩ વર્ષ પહેલાના યુઘ્ધ સામે તત્કાલિન સરકાર દ્વારા યુઘ્ધ પહેલા અને યુઘ્ધ સમયે દેશભરમાં નાગરિકોની સલામતિ માટેના જે પગલાઓ લેવાયા હતા તે આજની પેઢીએ કદાચ જોયા ન હોય તેથી કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે તા.૭ ના રોજ દેશના તમામ રાજ્યોમાં નાગરિક સંરક્ષણ જાગૃતિઅર્થે મહત્વના શહેરોમાં એર રેડ વોર્નિંગ સાયરન સક્રિય કરી યુઘ્ધ જેવી સ્થિતી વચ્ચે કોઈ હવાઈ હુમલા સમયે લોકોએ કયા પગલા ભરવા જરૂરી બને તે અંગે નાગરિકો તેમજ યુવાઓને જાગૃત કરી સમજ આપવા રાજ્ય સરકારોને આદેશ આપેલ છે.
કેન્દ્ર સરકારના ગૃહવિભાગ દ્વારા દેશના તમામ રાજ્યોને નાગરિક સંરક્ષણ માટે યુઘ્ધ કે યુઘ્ધ જેવી સ્થિતી સમયે અથવા કોઈ હવાઈ હુમલા થાય તો લોકોએ શું પગલા ભરવા તે બાબતે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા સમજણ આપવી તેમજ આવા જાગૃતિના કાર્યક્રમો સંદર્ભે તા.૭ ના રોજ એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેમાં હવાઈ હુમલા સમયે સાયરન વાગતા લોકોએ શું કરવું તેની સમજ આપવા વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો તેમજ આગેવાનોને વાકેફ કરી સામાન્ય માનવી સુધી આ બાબતની જાણકારી મળી રહે તે હેતુથી મોકડ્રીલ યોજવામાં આવશે. જેમાં રાત્રીના સમયે હવાઈ હુમલો થાય તો અંધારપટનો અમલ કઈ રીતે કરવો તેની વિસ્તૃત સમજ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે આ પ્રકારના મોકડ્રીલ દેશના વિવિધ હિસ્સાઓમાં સમયાંતરે યોજાતા રહે છે. જેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને સુરક્ષા એજન્સીઓને સહભાગી બનાવાશે.
શાળાઓ, કોલેજો અને રહેણાંક વિસ્તારોમાં લોકજાગૃતિ કાર્યક્રમો યોજી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને ઈમર્જન્સી દરમિયાન પોતાની સુરક્ષા કેવી રીતે જાળવવી તે અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં ફસ્ટ એઈડ, સલામત સ્થળે જવાની રીત ભય પર નિયંત્રણ વગેરે મુદાઓ સામેલ રહેશે.
દુશ્મનને વિયુઅલ ટાર્ગેટ મળવા નહીં દેવા માટે રાત્રિના સમયે તાત્કાલિક તમામ લાઈટો બંધ કરવાની બ્લેકઆઉટ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે અને તેનો અભ્યાસ કરાશે. કોઈ પણ ભયજનક ઘટનાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બનેલી ઈવેક્યુએશન યોજનાનુ પુનઃસમીક્ષણ અને રિહર્સલ થશે. લોકોએ સમયસર યોગ્ય માર્ગ અપનાવી સુરક્ષિત સ્થળે પહોંચી શકે તે માટે માર્ગચિહ્નો, ટ્રાફિક વ્યવસ્થા અને વોલન્ટિયર સહાય પણ આપવાની રહેશે. ગુજરાત રાજયના હોમ ડિપાર્ટમેન્ટે પણ આ સૂચનાની સમીક્ષા કરીને તાત્કાલીક તમામ જિલ્લા કલેકટરો અને પોલીસ વડાઓને મોકડ્રીલ માટે સુચનાઓ આપી છે. મોટા શહેરો જેમ કે રાજકોટમાં ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરોની મ્યુનિ.કોર્પો.નો અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગોને આ મોકડ્રીલમાં સહભાગી થવા કહેવામાં આવ્યું છે.