મોઈન અલી એ સમયે ભારતમાં હતો અને IPLમાં KKR માટે રમી રહ્યો હતો. પોતાની સ્થિતિ અંગે વર્ણન કરતાં તેણે કહ્યું, ‘કાશ્મીરમાં હુમલો થયા બાદ આ બધુ ખૂબ ઝડપથી શરૂ થયું. એવું લાગતું હતું કે જાણે આપણે અચાનક યુદ્ધ વચ્ચે આવી ગયા. જો કે તમને મિસાઇલના અવાજો નથી સંભળાતા પરંતુ તમને ચિંતા હોય છે કે જલ્દી અહીંથી નીકળીને પરિવારને મળી શકું. પરિવારના લોકો પણ ચિંતિત હોય છે’
મોઈન અલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલો ઓલરાઉન્ડર છે જે અગાઉ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમમાંથી પણ રમી ચૂક્યો છે. સ્પિન બોલિંગ ઉપરાંત બેટિંગમાં લોઅર ઓર્ડરમાં ફટકાબાજી કરવા માટે પણ તે જાણીતો છે. સપ્ટેમ્બર 2024માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યાર પછીથી તેણે દુનિયાભરમાં લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન અને POKમાં આતંકીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. જેના કારણે ભારતમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ IPLને પણ અટકાવવામાં આવી હતી.
IPLમાં ધરમશાલામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચને અધવચ્ચેથી અટકાવી દેવામાં આવી હતી. વિદેશી ક્રિકેટર્સ ભારત છોડીને પોતપોતાનાં વતન ચાલ્યા ગયા હતા. જો કે હવે ફરીથી ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે જેમાં મોટાભાગના ક્રિકેટર્સ રમવા માટે ભારત પરત આવી ગયા છે. અમુક ક્રિકેટર્સ જે ભારતમાં ક્રિકેટ રમવા નથી આવ્યા, તેમાંથી એક નામ KKRના ઓલરાઉન્ડર મોઈન અલીનું પણ છે.