Ahmedabad,તા.26
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરચોરી અટકાવવા માટે સતત લેવાતાં પગલાનાં ભાગરૂપે ચોક્કસ બાતમીને આધારે સચોટ આયોજન સાથે 02 મે 2025 ના રોજ મહેસાણા, અમદાવાદ અને જૂનાગઢ ખાતેના 7 મેનપાવર સર્વિસ પ્રોવાઈડર્સ ના 13 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
તપાસ દરમ્યાન કરચોરીની અનેક ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવેલ જેવી કે, કેટલાક સર્વિસ પ્રોવાઈડર્સે સરકારી વિભાગો પાસેથી GST વસૂલ કરેલ, પરંતુ તે કરચોરીના ઉદ્દેશથી સરકારી તિજોરીમાં જમા ના કરાવેલ, કરપાત્ર (ટેક્ષેબલ) થતી સેવાઓને ભરેલ પત્રકોમાં ગેરરીતિપૂર્વક કરમુક્ત (માફી સેવાઓ) તરીકે દર્શાવેલ. તદુપરાંત, તપાસ દરમિયાન એવું પણ ધ્યાને આવેલ કે કેટલાક સર્વિસ પ્રોવાઈડર્સે મળવાપાત્ર ના હોય તેવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવેલ, ઓછું ટર્નઓવર બતાવેલ, રજિસ્ટ્રેશનને લગતી વિગતો ખોટી પૂરી પાડેલ.
આ તપાસ દરમિયાન અંદાજિત રૂ।.15 કરોડથી વધુની કરચોરી બહાર આવી છે. વધુમાં, ઉપલબ્ધ દસ્તાવેજો તેમજ મળી આવેલ કાચા હિસાબી સાહિત્યના સંશોધનને અંતે વધુ કરચોરી મળી આવવાની સંભાવના છે.
ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સરકારની આવકને સુરક્ષિત કરવા, પ્રામાણિક કરદાતાઓના હિતોનું રક્ષણ કરવા તેમજ GST કાયદાના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.