કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતના કેસમાં પકડાયેલા : ACBએ ત્રણેયને નિવેદન માટે બોલાવતા આગોતરા જામીન અરજી કરી, વધુ સુનાવણી તા. 21 ઓગસ્ટના
Rajkot,તા.20
કરોડોની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાયેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઇ દિલીપે ધરપકડની દહેશતથી રાજકોટની કોર્ટમાંં આગોતરા જામીન અરજી કરી છે. જેની વધુ સુનાવણી આગામી તા. 21નાં રોજ થશે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં પકડાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે એસીબીએ 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ તેના ભાઈની ઓફિસમાંથી રૂા. 18 કરોડથી વધુની કિંમતના સોનુ-ચાંદી અને રોકડ મળી આવ્યા હતાં.
આ કેસમાં એસીબીએ સાગઠિયાના પુત્ર, પત્ની અને ભાઈને નિવેદન માટે બોલાવ્યા હતાં. જેને કારણે તેમને ધરપકડની દહેશત જણાતા રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેને રાજકોટ જિલ્લાના સરકારી વકીલે સમર્થન પણ આપ્યું છે. આ ત્રણેય જણાની આગોતરા જામીન અરજીની આગામી તા. 21 ઓગસ્ટના રોજ સુનાવણી થશે.