New Delhi, તા.5
દેશમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. છેલ્લા બે દિવસમાં મંત્રાલયના મહત્વપૂર્ણ વિભાગો વચ્ચે શ્રેણીબદ્ધ તકનીકી સમીક્ષા બેઠકો યોજાઈ છે.
રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગંભીર તીવ્ર શ્ર્વસન બીમારીના દરેક કેસમાં સર્વેલન્સ સિસ્ટમ પર ખાસ ભાર મૂકવામાં આવે અને નમૂનાઓનું જીનોમ પરીક્ષણ કરવામાં આવે. જીનોમ પરીક્ષણથી નવા પ્રકારનું સ્ટેટસ જાણવા મળશે.
બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યોએ હોસ્પિટલોમાં તૈયારીઓ પર ખાસ ધ્યાન આપવું પડશે, જેથી જો કેસ ખૂબ ઝડપથી વધે તો સારવારમાં કોઈ સમસ્યા ન થાય.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના પર, ઓક્સિજન સપ્લાય સિસ્ટમ અંગે એક મોકડ્રિલ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ગુરૂવારે એક મોકડ્રિલ પણ કરવામાં આવશે.
દેશમાં 4 જૂન સુધી કોવિડના 4302 સક્રિય કેસ છે. મંત્રાલયનું કહેવું છે કે, જે મોટાભાગના કોવિડ કેસ આવી રહ્યા છે તેમાં હળવા લક્ષણો છે અને તેઓ ઘરે સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે સામાન્ય લોકોને પણ કોવિડને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે. તેમજ મંત્રાલયની વેબસાઇટ અને PIV દ્વારા આપવામાં આવેલી માહિતી તપાસવી જોઈએ અને ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે ન દોરાય.