Bangalore,તા.05
આઈપીએલમાં રોયલ ચેલેન્જરનો વિજયનો જશ્ન મનાવવા ગઈકાલે બેંગલુરુમાં ટીમના અગાઉ નિશ્ર્ચિત કરાયેલા જબરા રોડ-શો અને બાદમાં ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી સહિતના સેલીબ્રીટી ટીમ ક્રિકેટરની હાજરીમાં યોજાનારા અભિવાદન સમારોહ એક કરૂણ દુર્ઘટનામાં જે રીતે પલટાઈ ગયો તેનાથી કરોડો ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે પણ આ સમગ્ર ઘટનામાં આ કાર્યક્રમના આયોજકોથી લઈને બેગલુરૂ પોલીસ અને રાજય સરકારની નિષ્ફળતા જ કારણ હોવાનું બહાર આવ્યુ છે.
અગાઉ વિધાનસભાથી સ્ટેડીયમ સુધીનો રોડ-શો યોજવાની જાહેરાત થઈ હતી. ટીમ વિ.ની મથકેથી સીધા ચીન્નાસ્વામી સ્ટેડીયમ જવાની હતી પણ બાદમાં એવું નકકી થયુ કે ટીમ પહેલા વિધાનસભા ભવન પહોંચીને મુખ્યમંત્રી સિદ્ધરમૈયાને મળશે. બાદમાં પુરા બેંગ્લોર શહેરમાં ફેરવાઈ હતી અને સ્ટેડીયમ આસપાસ જબરી ભીડ થઈ હતી.
સ્ટેડીયમમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત થઈ તેનાથી ભીડ વધી ગઈ હતી અને સ્થિતિ બેકાબુ બની ટીમની બસ જયારે સ્ટેડીયમ પહોંચી તે સમયે સ્ટેડીયમની 27000ની ક્ષમતા કરતા અનેક ગણા લોકો ત્યાં મોજૂદ હતા અને તેની પ્રવેશ માટે જબરી ધકકામુકકી થઈ. સ્ટેડીયમના 13 ગેટ હતા પણ ગેઈટ નં.5-6-7-19 અને 20 એ ટીમની એન્ટ્રીના માર્ગ પર હતા તેથી તે બંધ રખાયા.
ગેઈટ નં.9-10 એ વીવીઆઈપી માટે અનામત હતા. આમ એક જ ગેઈટ નં.7 એ સામાન્ય ક્રિકેટ ચાહકોને પ્રવેશ માટે હતા જે કોઈ રીતે હજારો લોકોએ પ્રવેશ આપવા માટે સક્ષમ ન હતો. આમ આયોજકોએ જે ભુલ કરી તે લોકોએ જીવન આપીને કિંમત ચુકવી હતી.
ઉપરાંત પોલીસ એ મુખ્યત્વે ટીમ અને વીવીઆઈપીની સૂરક્ષાની ચિંતામાં રહી અને ક્રાઉડ કંટ્રોલ માટે કોઈ જગ્યા જ ન હતી અને પોલીસ માટે બાકી ભીડ કંટ્રોલ કરવા માટે કોઈ સમય જ ન હતો. ટીમ સ્ટેડીયમમાં ગઈ પછી સૌને સ્ટેડીયમમાં પહોંચવું હતું જેમાં આ સ્થિતિ બની છે.
ઉપરાંત નજરે જોનારાના જણાવ્યા મુજબ આટલી ભીડ હતી છતાં મેડીકલ સહિતની વ્યવસ્થા ન હતી અને ઘટના બની પછી એક કલાક સુધીમાં એક જ એમ્બ્યુલન્સ મોજૂદ હતી. પોલીસ પણ ભીડને કાબુમાં લેવા કરતા લોકોને ધકેલતી જ હતી એટલી ભીડ હતી કે વધારાની એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ ન હતી.
પોલીસે ટોળાને કાબુમાં લેવા કુબોન પાર્ક પાસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી. આ ઘટના છતા સ્ટેડીયમમાં સમારોહ ચાલુ જ રાખવામાં આવ્યો હતો અને 11ના મોત ઉપરાંત સેંકડો લોકો ઘાયલ થયા હતા.
ટોચના વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડીયમમાં ફ્રી એન્ટ્રીથી લાખો લોકોને આમંત્રીત કરાયા હતા. ક્રિકેટ એસો.એ સ્ટેડીયમની અંદર ફકત ખેલાડીઓ તથા વીઆઈપીનીજ ચિંતા કરી હતી જેના કારણે આ દુર્ઘટના બની હતી.
બેંગલુરૂ: બેંગલુરૂની કરુણ દુર્ઘટના અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધરમૈયાએ આયોજકોને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યા હતા. તેઓએ સમગ્ર ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને સરકારની સહાયની જાહેરાત તથા ન્યાયીક તપાસની ખાતરી આપી હતી.
તેઓએ એકસ પર પોષ્ટ લખીને સ્વીકાર્યુ કે આ દુર્ઘટનાએ જીતનો આનંદ છીનવી લીધો છે. ભીડ વ્યવસ્થા કરવામાં આવી હતી પણ ભીડ અપેક્ષા કરતા વધુ હતી.
આ ઘટના પર કર્ણાટક સરકારને દોષિત ગણાવતા ભાજપના આક્ષેપો પર જવાબ આપતા શ્રી સિદ્ધરમૈયાએ કહ્યું કે, દરેક રાજયમાં આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓએ મહાકુંભમાં જે પ્રકારે ભાગદોડ સર્જાઈ તેની યાદ અપાવી હતી.