New Delhi,તા.5
ભારતનાં કેરળથી મહારાષ્ટ્ર સુધીનાં ભાગોમાં નૈઋત્ય ચોમાસાનાં વહેલા આગમનથી સર્જાયેલી ખુશી દબાઈ ગઈ હોય તેમ કેટલાંક દિવસોથી સીસ્ટમ સ્થગીત છે તેવા સમયે યુરોપની હવામાન એજન્સીએ સિસ્ટમ જુલાઈ મહિના સુધી સક્રિય ન થાય તેવી સંભાવના છે.
યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ ફોર્મ ફોરકાસ્ટ વેધરના રીપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારતના બાકીનાં ભાગોમાં જુલાઈ પુર્વે ચોમાસું સક્રિય ન થાય તેવુ બની શકે છે. જોકે સૌથી વધુ વરસાદ ધરાવતા જુલાઈના પ્રથમ બે સપ્તાહમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રિય થઈ શકે છે.
બંગાળની ખાડીમાં તામીલનાડુ તથા આંધ્રપ્રદેશના દરીયાકાંઠે સરકયુલેશન સર્જાશે અને તેની સારી મદદ મળશે. ભારતમાં ચોમાસુ હાલ મુંબઈની નજીક સ્થગીત થયાની દશામાં હોવાનું ઉલ્લેખનીય છે.
ભારતીય હવામાન વિભાગે જોકે ચાલુ જુન મહિનામાં જ ચોમાસું ફરી સક્રિય થઈને આગળ વધવાની આગાહી કરી છે. ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ તથા આંધ્રપ્રદેશનાં દરીયાકાંઠા તરફના વેસ્ટર્ન ડીર્સ્ટબન્સથી સાનુકુળ સ્થિતિ સર્જાશે કેરળ, કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, ઓડીશા, છતીસગઢ, વિદર્ભમાં વરસાદી વ્યાપ વધી શકશે.
જોકે 16 થી 23 જુનમાં દક્ષિણનાં ભાગોમાં ચોમાસું ફરી અટકી શકે છે. ગોવા, કોંકણ, ગુજરાત તથા પશ્ર્ચિમ રાજસ્થાનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં વરસાદનું જોર રહેવાની સંભાવના છે.
યુરોપીયન એજન્સીની આગાહી મુજબ ચોમાસું સક્રિય થતા જુલાઈ આવી જાય તો ખરીફ પાકની પેટર્નમાં બદલાવ થવાની ભીતી છે.