આહીર ચોક નજીક ઓપરેશનના ડરથી વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાધા
Rajkot,તા.07
શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતના પ્રયાસના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મધરવાડા ગામ અને લક્ષ્મીનગરમાં ઘરકંકાસથી કંટાળીને બે પરણીતાએ ઝેરી દવા અને ફિનાઇલ પી લીધું હતું, જ્યારે આહીર ચોક પાસે વૃદ્ધાએ બીમારીના ઓપરેશનના ડરથી ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ નજીક મધરવાડા ગામમાં આવેલી ચિરાગભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા લીલાબેન સેનાભાઈ હટીલા (ઉં.વ. ૩૨) સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં વાડીએ ઇયળ મારવાની જંતુનાશક દવા પી લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેનાથી મનદુઃખ અનુભવી લીલાબેને આ પગલું ભર્યું હતું.
બીજા બનાવમાં, લક્ષ્મીનગર શેરી નંબર-૪ માં રહેતા નમ્રતાબેન સનીભાઈ દુધરેજીયા (ઉં.વ. ૨૦) સવારે ૯:૩૦ વાગ્યે પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. તેમના પતિ જ્વેલર્સની દુકાનમાં કામ કરે છે. મોડી સવારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાત પર ઝઘડો થતાં પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું. ત્રીજા બનાવમાં, આહીર ચોક પાસે આવેલી ગોપ વંદના સોસાયટીમાં રહેતા જશુબેન મનુભાઈ ડોડીયા (ઉં.વ. ૬૫) નામના વૃદ્ધાએ સવારે ૧૧:૩૦ વાગ્યે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, જશુબેનના પેટમાં ગાંઠ હોવાથી ડૉક્ટરોએ ઓપરેશન કરવાની સલાહ આપી હતી. પરંતુ ઓપરેશનના ડર અને ગભરામણના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. પોલીસે આ ત્રણેય બનાવોની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

