ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના શ્રમિક માનસિક અસ્થિર હોવાથી પગલું ભર્યું, પરિવારમાં શોક
રાજકોટ
શહેરના ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતના ગ્રે વોટર પ્લાન્ટ અને ગટર લાઇનનું કામ કરવા આવેલા મહેસાણાના યુવકે માનસિક બીમારીના કારણે ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાંથી મળી આવતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવને પગલે મૃતક યુવકના પરિવારમાં શોક છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણાના રહેવાસી શૈલેષભાઈ કિશાભાઈ ઠાકર (ઉં ૨૬)એ આજે સવારે માનસિક બીમારીના કારણે ગઢકા અને ઢાઢણી ગામ વચ્ચે આવેલા ચેકડેમમાં કૂદીને આપઘાત કરી લીધો હતો, પરિવારના જણાવ્યા પ્રમાણે , શૈલેષભાઈ અન્ય ૪ લોકો સાથે છેલ્લા ૮ દિવસથી ઢાઢણી ગામમાં ગ્રામ પંચાયતની ગટર લાઇન અને ગ્રે વોટર પ્લાન્ટ બનાવવાનું કામ કરવા માટે આવ્યા હતા. શૈલેષભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હતા. આજે સવારે આશરે ૫:૩૦ વાગ્યે તેઓ કોઈને કહ્યા વગર અચાનક ઘરેથી નીકળી ગયા હતા. સવારથી જ શૈલેષભાઈની કોઈ ભાળ ન મળતા સાથીદારો અને સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગઢકા અને ઢાઢણી ગામની વચ્ચે આવેલા ચેકડેમ પાસે તપાસ કરતા તેમનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શૈલેષભાઈ એક ભાઈ અને આઠ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા. તેમના અકાળ અવસાનથી બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

