Ahmedabad, તા.18
ગુજરાતના અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના સમયે ચાની દુકાન પાસે સૂતેલા 14 વર્ષીય આકાશ પટણીના મૃતદેહને પરિવારને સોંપી દેવાયો છે. આકાશ પટણીના પિતા સુરેશ પટણીએ જણાવ્યું કે, તેમને સોમવારે મોડી રાત્રે મૃતદેહ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શક્યા ન હતા.
તેથી તેમણે મંગળવારે સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. વધુમાં જણાવ્યું કે, મારી પત્ની સીતા પટણી, જે દુર્ઘટનામાં અડધી બળી ગઈ હતી. હવે તે સ્વસ્થ થઈ રહી છે. તેની સર્જરી કરાવી પડી હતી. તેમજ ડોક્ટર્સે આશ્વાસન આપ્યું છે કે, તેની તબિયત સુધરી રહી છે. જોકે, હજુ ખબર નથી કે, ડોક્ટર્સ ક્યારે તેને ડિસ્ચાર્જ આપશે.
સુરેશ પટણીએ જણાવ્યું કે, ચાની દુકાન જ પરિવારની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતી. જોકે, સુરેશ પટણી રિક્ષા ચલાવે છે. જોકે, આટલા દિવસો બાદ પણ તેમને અધિકારીઓ તરફથી કોઈ વળતર આપવામાં નથી આવ્યું તેમજ વળતર ક્યારે મળશે તે વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી.
કોઈએ પણ વળતર માટે અમારો સંપર્ક કર્યો નથી. જો વિમાનમાં સવાર મુસાફરોને વળતર મળે છે, તો અમારી જેવા લોકોને પણ વળતર મળવું જોઈએ, જેણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દીધા છે. મને આશા છે કે, કોઈને કોઈ આ વિશે મારો સંપર્ક કરશે.
નોંધનીય છે કે, સીતાબહેન અકસ્માતવાળી જગ્યાએ ચાની દુકાન ચલાવતા હતા અને 12 જૂને જ્યારે વિમાન મેડિકલ કોલેજ પરિસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના પહેલાં આકાશ તેની માતાને જમવાનું આપવા ગયો હતો.
સીતાબહેન તો દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા, પરંતુ આકાશ જમવાનું આપીને સૂઈ ગયો હતો અને બાદમાં ક્યારેય પાછો ન જાગ્યો.