એમએચસી બિલ્ડિંગના છઠ્ઠા માળે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ નિષ્ણાત તબીબોની ટીમ અને ૨૦ નર્સિંગ સ્ટાફ ત્રણ શિફ્ટમાં સંભાળશે મોરચો
Rajkot તા.૧૫
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની પ્રતિષ્ઠિત જનાના હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઈ જ ખતરો નથી, જેથી નાગરિકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. માત્ર તકેદારી અને સાવચેતી રાખવી અનિવાર્ય છે.
આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાંના ભાગરૂપે જનાના હોસ્પિટલના નવનિર્મિત એમસીએચ બિલ્ડિંગના છઠ્ઠા માળે ૧૦ બેડનો સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબો અને સ્ટાફનું માઇક્રો-પ્લાનિંગ કરાયું છે, આ વોર્ડમાં ૧૦ નિષ્ણાત તબીબોની ટીમ ત્રણ અલગ-અલગ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. દર્દીઓની સતત સારવાર અને સારસંભાળ માટે ૨૦ અનુભવી નર્સિંગ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને ઇમરજન્સી લાઇફ સપોર્ટ સિસ્ટમનો જથ્થો પણ હોસ્પિટલ ખાતે રિઝર્વ રાખવામાં આવ્યો છે.તબીબી નિષ્ણાતોના મતે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નિશાન બનાવે છે.
આ વાયરસ ’સેન્ડ ફ્લાય’ (માટીની ઝીણી માખી) કરડવાથી ફેલાય છે. જો બાળકમાં સેન્ડ ફ્લાય કરડ્યા બાદ બાળકના પગ પર લાલ કલરના ચટકા અને ચામડી ઉપસી આવવી, બાળકને એકાએક ખૂબ ઊંચો તાવ આવવો. તાવ સાથે આંચકી (ખેંચ) આવવી અથવા બાળક સુસ્ત થઈ બેભાન થવા લાગે તો તાત્કાલિક તબીબો દ્વારા સારવાર શરૂ કરવી અનિવાર્ય છે. રાજકોટ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તબીબોએ વાલીઓ અને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે આ વાયરસના ફેલાવાને રોકવા માટે લોકભાગીદારી ખૂબ જરૂરી છે. તેના બચાવ માટે નાના બાળકોને ફરજિયાતપણે મચ્છરદાનીની અંદર જ સુવડાવો. જૂના, કાચા, માટીના કે પ્લાસ્ટર વગરના મકાનોની દીવાલોમાં પડેલી તિરાડોને માટી કે સિમેન્ટથી પૂરી દેવી, કારણ કે સેન્ડ ફ્લાય આવી જગ્યાઓમાં જ ઈંડા મૂકે છે.ઘરમાં અને આસપાસના વિસ્તારોમાં જંતુનાશક દવાઓ અને મેલાથિયોન પાવડરનો સઘન છંટકાવ કરવો જેવા પગલાં લેવા અનિવાર્ય છે.

