સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ : પોલીસે તપાસ શરૂ કરી
Rajkot, તા.૨૦
શહેરમાં કૌટુંબિક જમીન અને ભાગબટાવના પૈસાની લેતીદેતીનો વર્ષોથી ચાલતો વિવાદ રવિવારે મોડી રાત્રે લોહિયાળ બની ગયો. સોમનાથ સોસાયટી-૨ નજીક ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. સમગ્ર ઘટનામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત – પોલીસના જણાવ્યા મુજબ, કૌટુંબિક વિવાદ દરમિયાન હાર્દિક ધોળકીયાએ છરી વડે હુમલો કરતાં સુરેશ ધોળકીયા (ઉંમર ૫૫) ના છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. હુમલામાં અન્ય કાકા રાજેશ ધોળકીયા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજતાં સમગ્ર ઘટના બેવડી હત્યામાં ફેરવાઈ હતી. બંનેને બચાવવા વચ્ચે પડેલા લાખા ધોળકીયાને પણ ઈજાઓ પહોંચી છે. કૌટુંબિક જમીનના પૈસાને લઈને ચાલતો હતો વિવાદ – પ્રાથમિક તપાસ મુજબ, પરિવારની જમીન અને તેના વેચાણ બાદ મળનારી રકમના ભાગબટાવને લઈને છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે આ મુદ્દે બોલાચાલી ઉગ્ર બનતા છરીના હુમલાની ઘટના બની હતી.
મૃતકના પુત્રની ફરિયાદમાં શું આરોપ? – મૃતક સુરેશ ધોળકીયાના પુત્ર અને ઇજાગ્રસ્ત લાખા ધોળકીયાએ મ્દ્ગજી કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૩૫૨ અને ૧૧૮(૧) હેઠળ હાર્દિક ધોળકીયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાજેશ ધોળકીયાએ સુરેશને ફોન કરીને સોમનાથ સોસાયટી બોલાવ્યા હતા. ત્યાં હાર્દિક ગાળાગાળી કરતો હતો. સમજાવવા જતાં તેણે અચાનક છરી કાઢી સુરેશ, રાજેશ અને લાખા પર હુમલો કર્યો હતો.
આરોપીનો દાવોઃ સ્વરક્ષણમાં હુમલો કર્યો – બીજી તરફ આરોપી હાર્દિક ધોળકીયાએ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામા પક્ષના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાર્દિકના જણાવ્યા અનુસાર, તેમના દાદાની સાધુ વાસવાણી રોડ પર આવેલી જમીન સુરેશ ધોળકીયાએ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. વેચાણની રકમમાં પોતાના પરિવારનો હક હોવા છતાં પૈસા ન મળતા છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.
હાર્દિકનો આરોપ છે કે, રવિવારે રાત્રે રાજેશ ધોળકીયા સહિતના લોકોએ તેના પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. પોતાનો જીવ બચાવવા માટે તેણે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી લઈને સ્વરક્ષણમાં હુમલો કર્યો હતો. ઘટના બાદ પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. બંને પક્ષના નિવેદનો, ઝ્રઝ્ર્ફ ફૂટેજ (જો ઉપલબ્ધ હોય), ફોરેન્સિક પુરાવા અને અન્ય સાક્ષીઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

