શનાયા અને વિક્રંતની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં તારીખ ૧૧ જુલાઈએ થિએટરમાં રિલીઝ કરવામાં આવશે
Mumbai, તા.૦૨
સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીઓ કરૂ રહી છે. વિક્રાંત મેસ્સી સાથે તે ‘આંખો કી ગુસ્તાખિયાં’માં કામ કરી રહી છે. ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં તેને મળી રહેલી ખ્યાતિ અને તેની સાથે થતી ટીકાઓ અને નિંદા અંગે પણ વાત કરી હતી. તેણે પોતાની સામેના પડકારો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે ફિલ્મોમાં આવી તે પહેલાંથી તે ટીકાનો સામનો કરી રહી છે.અનુભવથી ટીકાનો સામનો કરતા શીખવા બાબતે શનાયાએ કહ્યું કે તે ટીકા પર ધ્યાન પણ આપે છે અને તેનો હકારાત્મક રીતે સામનો કરે છે. તેણે કહ્યું કે તે આ સફરમાં સતત શીખતી રહી છે. તેણે કહ્યું, “જે કંઈ ખ્યાતિ મળે કે પ્રેશર આવે, એ બધું ટીકા અને નિંદા સાથે જ આવે છે. મેં તેને હકારાત્મક રીતે જ લીધું છે, પ્રતિભાવ તરીકે લઇને તેમાંથી શીખ્યું છે, તેમાંથી આગળ વધી છું.” તેણે પોતાના આ વિશ્વાસ માટે પોતાના ઉછેરને પણ શ્રેય આપ્યો છે. તેણે કહ્યું કે તેના માતા પિતાએ તેનો એવો ઉછેર કર્યો છે કે તેનામાં ક્યારેય પરિવર્તન આવશે નહીં. શનાયા કહે છે, “હું આજે જે કંઈ છું એ મારા માતાપિતાના કારણે જ છું. તેમણે એક ચોક્કસ રીતે મારો ઉછેર કર્યો છે. હા, મારું વાતાવરણ એવું હતું, પરંતુ આજે મને નથી લાગતું કે મારે બીજા કોઈ વાતાવરણની જરૂર પણ હતી, કારણ કે હું જે છું એમાં મને વિશ્વાસ છે.”પોતાની સફર અંગે વાત કરતાં શનાયાએ કહ્યું, “આજે હું જે સ્તર પર પહોંચી છું, એ મેં અત્યાર સુધીમાં જે કર્યું એના પરિણામે જ છે. અહીં પહોંચવાની મારી એક અલગ સફર રહી છે.” શનાયા માને છે કે જે કંઈ થાય છે, એની પાછળ કોઈ કારણ હોય છે, તે જે રીતે થાય છે, તેની પાછળ સારા પરિણામ રહેલાં હોય છે. શનાયા કહે છે, “હું ખુશ છું અને ઉત્સુક છું.” શનાયા એવું પણ સ્વીકારે છે કે અન્ય કલાકારોની સરખામણીએ તેની સફર સરળ રહી છે. શનાયા અને વિક્રંતની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં ૧૧ જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે.