૦ થી ૧ કિમી વિસ્તારમાં શરતભંગ સાબિત થતાં ૨૬ કેસોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા આદેશ
Junagadh,તા. ૨૨
ગુજરાત હાઇકોર્ટના ઓરલ આદેશ અન્વયે ગીર અભયારણ્ય વિસ્તારની આસપાસ ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્સ (હોટેલ/રિસોર્ટ) નું નિરીક્ષણ કરવા અને જરૂરી દસ્તાવેજો, મંજૂરી તથા લાયસન્સની ચકાસણી કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ અંતર્ગત કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કુલ ૬૭ કેસોમાં શરતભંગની નોટીસ આપી કાયદેસરની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુનાવણી બાદ કડક નિર્ણયો અને હુકમો કરવામાં આવ્યા છે.જે મુજબ વન વિસ્તારની બાહ્ય હદથી ૦ થી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ૩૯ કેસો પૈકી ૨૬ કેસોમાં શરતભંગ સાબિત થતાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે. નિયત મર્યાદાથી વધારાનું કાયદાકીય બાંધકામ તુરંત દૂર કરવા, ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બુકીંગ સિસ્ટમ તાત્કાલિક અસરથી દૂર કરવા,વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કર્યા અંગે, વધારાનું બાંધકામ દૂર કર્યા અંગે અને બુકીંગ સિસ્ટમ હટાવ્યા અંગેનું સોગંદનામું દિન-૩૦ માં રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
૧ થી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં સમાવિષ્ટ એકમો માટે પણ વાણિજ્ય પ્રવૃત્તિઓ તથા ઓનલાઇન બુકીંગ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા નિર્ણય લેવાયો છે. વન અને પર્યાવરણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ, ૧ થી ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં જો એકમ ધારક વાણિજ્ય ઉપયોગ કરવા માંગતા હોય, તો વન વિભાગનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ અને બિનખેતી પરવાનગી મેળવ્યા બાદ જ પ્રવૃત્તિ શરૂ કરી શકાશે તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

