New Delhi, તા.૨૫
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર અને શિક્ષણ મંત્રી પર તીખા પ્રહારો કર્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના અહેવાલો પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “તેમને તો પદ પરથી જવું જ પડતું, આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી પરંતુ ભારતના ભવિષ્ય અને દેશના વિદ્યાર્થીઓની જીત છે.”
તાજેતરમાં દેશમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિક્ષણ વ્યવસ્થામાં સામે આવેલી અનિયમિતતાઓ અને ગડબડોને લઈને વિદ્યાર્થીઓ તથા વિપક્ષ સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે જે રીતે રમત રમાઈ રહી હતી, તે સાંખી લેવાય તેમ નહોતું. વિદ્યાર્થીઓએ જે સતત સંઘર્ષ કર્યો અને અવાજ ઉઠાવ્યો, આખરે સરકારે તેમની સામે ઝૂકવું પડ્યું છે અને આ નિર્ણય લેવો પડ્યો છે.
પોતાના નિવેદનમાં રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ અને આખો વિપક્ષ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની સાથે મજબૂતીથી ઊભો છે. શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા લાવવી અત્યંત જરૂરી છે અને આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે દેશનો યુવા વર્ગ પોતાના હક માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવે છે, ત્યારે મોટામાં મોટી સત્તાને પણ નમવું પડે છે. તેમણે આ ઘટનાક્રમને દેશના શિક્ષણ ક્ષેત્રના સુધારા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

