Rajkot,તા.૭
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન મામલે હવે ખર્ચના આંકડાને લઈને નવો વિવાદ ઉભો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દો ઉઠતા ડિમોલેશન પાછળ થયેલા ખર્ચ અંગે ચોંકાવનારા દાવા સામે આવ્યા છે.
જંગલેશ્વર ડિમોલેશન મામલે જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન ડિમોલેશન પાછળ થયેલા ખર્ચને લઈને ચર્ચા થઈ હતી. નગરસેવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડિમોલેશનની કામગીરી પાછળ થયેલા વાસ્તવિક ખર્ચની સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. નગરસેવકના જણાવ્યા મુજબ, આ સમગ્ર કામગીરી પાછળ ચાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે મનપા દ્વારા અગાઉ ૨.૭૫ કરોડ રૂપિયાની માહિતી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ખર્ચના આંકડામાં તફાવતને લઈને રાજકોટ મનપા સામે સવાલો ઉભા થયા છે. નગરસેવકે આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન પાછળ થયેલા ખર્ચ અંગે મનપા દ્વારા સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી અને કેટલાક આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.આ મામલે પારદર્શક તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.
જંગલેશ્વર ડિમોલેશન મામલે અગાઉ રચાયેલી તપાસ કમિટીને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક નગરસેવકોનું કહેવું છે કે તપાસ નિષ્પક્ષ રીતે થાય તે માટે ઉચ્ચ સ્તરના અધિકારીની આગેવાની જરૂરી છે.આ કારણે હવે તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે સચિવ કક્ષાના અધિકારીની નિમણૂક કરવાની માંગ પણ સામે આવી રહી છે.
જંગલેશ્વર ડિમોલેશનની કાર્યવાહી બાદ હવે ખર્ચના મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે. મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી અને નગરસેવકોના દાવા વચ્ચેના તફાવતને કારણે સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.હવે આ મુદ્દે મનપા તરફથી વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.

