સરકારી મટીરીયલ ખાનગી સોલાર કંપનીને બારોબાર પધરાવી દેવાના કેસમાં કાર્યવાહી
બદલી કરી કૌભાંડ દબાવવા કારસો ઘડાયો હતો, એક્ટિવિસ્ટની રજૂઆત બાદ ભાંડો ફૂટ્યો, બે નાયબ ઈજનેર, એક જુનિયર ઈજનેર, એકાઉન્ટન્ટ અને સ્ટોર કીપર તાત્કાલિક અસરથી ઘરભેગા
(હરેશ ભાલીયા દ્વારા) Jetpurતા.૭
જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાંથી અંદાજે રૂપિયા ૮૦ લાખની કિંમતનો સરકારી માલ-સામાન બારોબાર ખાનગી સોલાર કંપનીને વેચી મારવાના ચકચારી કૌભાંડમાં આખરે ઉચ્ચ કક્ષાએથી આકરાં પગલાં લેવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિ પ્રકરણમાં અગાઉ રાજકોટ કચેરી દ્વારા માત્ર બદલી કરીને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારે વિવાદ અને વડોદરાની ટીમના તપાસના ધમધમાટ બાદ આખરે ૫ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા વીજ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેતપુર વીજ વિભાગના ઈતિહાસમાં ડિવિઝનના મુખ્ય અધિકારી સહિતના અધિકારીઓની સાગમટે બદલી અને ત્યારબાદ સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને મોટી માત્રામાં મટીરીયલ કાઢવામાં આવ્યું હતું. જેમાં ૧૨.૫ કિલોમીટર જેટલો આરફીન ઈન્ડિયા કંપનીનો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, શ્યામ શેલ કંપનીના લોખંડના ૯ મીટર ઊંચા ૩૦ નંગ એમ.એસ. ગડર પોલ (વીજ થાંભલા) અને દ્વારકાધીશ રબર કંપનીની ૧૧૪ કેવીની ૪૦૦ નંગ પીનનો સમાવેશ થાય છે. આ લાખો રૂપિયાનો માલ સરકારી કામમાં વાપરવાને બદલે સેટિંગ કરી ખાનગી સોલાર૩ કંપનીઓને વેચી મારવામાં આવ્યો હતો. કૌભાંડ છુપાવવા ગેટ પાસ અને રજિસ્ટરમાં ગોબાચારી કરી, મટીરીયલ ખારચિયા ગામે પડ્યું હોવાનો ખોટો દાવો પણ ઊભો કરાયો હતો. આરટીઆઈમાં માહિતી અપાઈ હતી કે કાઢેલ વીજ થાંભલા ખારચિયા ગામના સ્ટોરમાં છે, પરંતુ તપાસમાં તે પોલ જૂના હોવાનું ખૂલ્યું હતું. વળી, ૧૨.૫ કિમી કેબલ અંગે મૌખિક જાણ કરાઈ હોવા છતાં રજિસ્ટરમાં તેની કોઈ નોંધ મળી ન હતી.
આ કૌભાંડ અંગે રાજકોટ વર્તુળ કચેરીના ચીફ એન્જિનિયરે શરૂઆતી તપાસ કરી હતી પરંતુ તેમાં કોઈ તથ્ય ન મળ્યાનો રિપોર્ટ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આટલા મોટા કૌભાંડ છતાં કસૂરવાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલીના ઓર્ડર પકડાવી દેવાયા હતા, જેના પગલે તમામ કર્મચારીઓ હાજર થવાને બદલે રજા પર ઉતરી ગયા હતા. જોકે, સ્થાનિક આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સચોટ પુરાવાઓ સાથે લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરવામાં આવતા વડોદરા ખાતેથી ગુજરાત ઊર્જા નિગમ કચેરીના અધિકારીઓએ આવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ગેરરીતિ ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
અગાઉ આ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. જેઠવા (લીંબડી), બે નાયબ ઈજનેર જે.આર. વલેરા અને એન.પી. ગોહેલ (સુરેન્દ્રનગર), જુનિયર ઈજનેર એ.પી. પાનસુરીયા (દેરડી કુંભાજી), સુપ્રીટેન્ડન્ટ એકાઉન્ટન્ટ કે.કે. વાગડીયા (ધોરાજી) અને સિનિયર ક્લાર્ક સ્ટોર કીપર રાજેશ આર. વનાર (વીંછીયા) ની બદલી કરવામાં આવી હતી.
પરંતુ ચોતરફથી ભીંસ વધતા અને ગેરરીતિના નક્કર પુરાવાઓ સામે આવતા આખરે પીજીવીસીએલની વડી કચેરી હરકતમાં આવી છે. આ સમગ્ર મામલે ધોરાજી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર બી.ડી. રાડાએ સત્તાવાર બાઈટ આપતા જણાવ્યું હતું કે, વડી કચેરીના આદેશ અનુસાર પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સસ્પેન્ડ થયેલા કર્મચારીઓના નામઃ(૧) એન. પી. ગોહેલ (નાયબ ઈજનેર),(૨) જે. આર. વલેરા (નાયબ ઈજનેર),(૩) એ. પી. પાનસુરીયા જુનિયર ઈજનેર),(૪) કે. કે. વાગડીયા (એકાઉન્ટન્ટ),(૫) આર. આર. વનાર (સ્ટોર કીપર)
સરકારી મિલકતની ખુલ્લેઆમ લૂંટ ચલાવી ખિસ્સા ગરમ કરનાર આ ટોળકી સામે આખરે કડક કાર્યવાહી થતા, કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ મામલે વિભાગીય તપાસ ચાલુ હોય, આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

