Bhavnagar,તા.4
ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા મહિનાથી વંદેભારતની સ્લીપન ટ્રેન શરૂ કરવાનું એલાન કર્યું હતું. ઉપરાંત રાજકોટ-પોરબંદર વચ્ચે નવી ટ્રેન બે ગતિશકિત કાર્ગો ટર્મીનલ તથા ભાવનગરમાં નવા બનનારા બંદર પર કન્ટેનર ટર્મીનલનાં પ્રોજેકટ જાહેર કર્યા હતા. અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પણ તુર્ત શરૂ થવાનું કહ્યું હતું.
ભાવનગર-અયોધ્યા વચ્ચેની અઠવાડીક ટ્રેનને લીલીઝંડી આપવાના સમારોહમાં સામેલ થયેલા રેલ્વે પ્રધાને કહ્યું કે સપ્ટેમ્બરથી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ જશે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેલ્વે સાથે ભાવનાત્મક સંબંધ છે. તેથી, તેમને રેલવે પ્રત્યે ખાસ લાગણી છે. તેઓ હંમેશા રેલ્વેનો વિકાસ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી ટેકનોલોજી કેવી રીતે લાવવી. કેવી રીતે વિસ્તરણ કરવું તે દિશામાં સરકાર હંમેશા કાર્યરત રહે છે.
પાછલા 11 વર્ષમાં રેલ્વેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ 11 વર્ષમાં 34000 કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક બનાવ્યા છે. દરરોજ લગભગ 12 કિમી નવા ટ્રેક બનાવવામાં આવે છે, જે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 1300 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેશન નવીનીકરણ કાર્ય છે.
વિદેશમાં, જ્યારે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવે છે, ત્યારે કામ ચાલુ રાખવા માટે સમગ્ર સ્ટેશન અને ટ્રેનો બંધ કરી દેવામાં આવે છે જ્યારે ભારતમાં આ કાર્ય તેજ ગતિએ અને સુપેરે આગળ વધી રહ્યું છે.
વધુમાં મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે, પોરબંદર-રાજકોટ નવી ટ્રેન ટૂંક સમયમાં દરરોજ દોડવા લાગશે. રાણાવાવ સ્ટેશન પર નવી કોચ જાળવણી સુવિધા, સરડિયા-વાસજલિયા નવી લાઇન, ત્યારબાદ ભદ્રકાળી ગેટ, પોરબંદર શહેરમાં નવો ફ્લાયઓવર, ભાવનગરમાં 2 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને એક નવું બંદર બનવા જઈ રહ્યું છે.
મુંબઈથી અમદાવાદની પહેલી ટ્રેન બુલેટ ટ્રેન પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જ્યારે આ ટ્રેન શરૂ થશે, ત્યારે મુંબઈથી અમદાવાદની સફર ફક્ત 2 કલાક અને 7 મિનિટની થઈ જશે.
યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે. દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ ગયું છે. બદલાવ અને પરિવર્તનની રાહ પર આગળ વધી રહ્યો છે ત્યારે રેલવેમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રેલવેમાં આધુનિકીકરણની સાથે સમયસર અને સુવિધા યુક્ત રેલવે નો લાભ દેશના લોકોને મળી રહ્યો છે.
રેલવે સેક્ટરમાં બદલાવ એ વિકસિત ભારતની રાહ છે. વધુમાં મંત્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો, મહંતો અને શ્રદ્ધાની ભૂમિ છે ત્યારે અયોધ્યા ટ્રેન થકી રામલલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય આ ક્ષેત્રના લોકોને પ્રાપ્ત થશે જે બદલ રેલવે મંત્રીનો આભાર વ્યકત કરું છું.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ રેલવે મંત્રીનું સ્વાગત કરવાની સાથે ભાવનગરને આ ટ્રેન સ્વરૂપે મળેલી મહામૂલી ભેટ બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, મહંત શંભુનાથજી ટુડીયા, શીવાભાઈ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ, સહિત ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ,વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ હશે. ટ્રેન નંબર 19201/19202 માટે ટિકિટ બુકિંગ 3 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.