દાણચોરીના કેસમાં જપ્ત કરાયેલું સોનું કોઈપણ સંજોગોમાં મુસાફરને પરત આપવામાં આવતું નથી
Ahmedabad, તા.૭
અમદાવાદ અને સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા બે વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે દાણચોરીના સોનાના મોટા જથ્થા સામે કાર્યવાહી કરતાં કુલ ૨૨૮ કરોડનું ગોલ્ડ જપ્ત કરી કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવ્યું છે. કસ્ટમ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૧૩૫ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કરાયું હતું. તે સમયે બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૮૦ હજારથી ૮૫ હજાર હોવાથી તેની કિંમત આશરે ૧૧૦ કરોડ આંકવામાં આવી હતી. એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ દરમિયાન વધુ ૯૫ કિલોગ્રામ દાણચોરીનું ગોલ્ડ ઝડપાયું હતું. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ આશરે ૧.૨૫ લાખ સુધી પહોંચતાં જપ્ત કરાયેલા ગોલ્ડની બજાર કિંમત લગભગ ૧૧૮ કરોડ થઈ હતી. આમ બે વર્ષમાં કુલ ૨૩૦ કિલોગ્રામ દાણચોરીનું ગોલ્ડ, જેની કિંમત ૨૨૮ કરોડ થાય છે, તે સરકાર હસ્તક જમા કરાયું છે.સૂત્રોના જણાવ્યા મુજબ, દાણચોરીના કેસમાં જપ્ત કરાયેલું સોનું કોઈપણ સંજોગોમાં મુસાફરને પરત આપવામાં આવતું નથી અને તેને સીધું કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરવામાં આવે છે. ઉપરાંત, ગોલ્ડ લઈને આવનાર કેરિયર અથવા મુસાફર પાસેથી કેસની ગંભીરતા અનુસાર ૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા સુધીની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવે છે. જોકે, ડ્યૂટી સંબંધિત અન્ય કેસોમાં મુસાફર ડ્યૂટી, દંડ અને પેનલ્ટી ભરવા તૈયાર થાય તો નિયમ મુજબ ગોલ્ડ છોડવાની જોગવાઈ પણ છે.આંકડાઓ મુજબ, એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૨૦ કેરિયર ઝડપાયા હતા, જેમાં પાંચ મહિલા મુસાફરોનો સમાવેશ થતો હતો. જ્યારે એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ દરમિયાન ૧૫ કેરિયર ઝડપાયા હતા, જેમાં આઠ મહિલા મુસાફરો સામેલ હતા. આમ કુલ ૩૫ કેરિયરમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રહી હોવાનું કસ્ટમ વિભાગે નોંધ્યું છે.કસ્ટમ વિભાગે વિદેશથી આવતા મુસાફરો ઉપરાંત ટૂર ઓપરેટરો પર પણ ખાસ નજર રાખી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના આસપાસના ગામોમાંથી અબુધાબીની ટૂરના બહાને મુસાફરોને લઈ જનાર ટ્રાવેલ એજન્ટ પંકજ પટેલની ધરપકડ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે તે રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલા કિરીટ પટેલ માટે કામ કરતો હતો. કિરીટ પટેલની પણ અગાઉ દાણચોરીના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. બે વર્ષમાં આ નેટવર્ક મારફતે કેટલા મુસાફરોને વિદેશ લઈ જઈ દાણચોરી કરાવવામાં આવી તેની માહિતી કસ્ટમ વિભાગને મળી ગઈ છે.

