કોર્ટે ઓસ્ટ્રેલિયાના ટ્રેડ માર્ક્સ એક્ટ, ૧૯૯૫ની જોગવાઈઓ, ખાસ કરીને સેક્શન ૧૭૭(૨),ને ધ્યાનમાં લીધી હતી
New Delhi,તા.૨૫
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે બાસમતી ચોખા અંગે ભારતીય નિકાસકારોને મોટો ઝટકો આપતાં ઓસ્ટ્રેલિયામાં બાસમતી માટે વિશેષ સર્ટિફિકેશન ટ્રેડમાર્ક મેળવવા ભારતની અપીલ ફગાવી દીધી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે ‘બાસમતી’ માત્ર ભારતની વિશેષ સંપત્તિ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન બંનેના સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતો ચોખાનો પ્રકાર છે.
આ નિર્ણયની સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણાના બાસમતી નિકાસકારો પર થવાની શક્યતા છે. ભારતના કુલ બાસમતી નિકાસમાં પંજાબનો હિસ્સો આશરે ૪૦ ટકા હોવાનું જણાવાય છે. બાસમતી એક્સપોર્ટર્સ એસોસિએશનના વાઇસ-પ્રેસિડેન્ટ રણજીત સિંહ જોસને જણાવ્યું હતું કે આ ચુકાદા બાદ ઓસ્ટ્રેલિયન બજારમાં ભારતીય નિકાસકારોને કોઈ વિશેષ સ્થિતિ મળશે નહીં અને તેમણે પાકિસ્તાની નિકાસકારો સાથે સીધી સ્પર્ધા કરવી પડશે.
હાલ ઓસ્ટ્રેલિયામાં ભારતીય બાસમતી ચોખાનો વેપાર આશરે ૩૮૦ મિલિયન ડોલરનો હોવાનું જણાવાય છે, જ્યારે પાકિસ્તાનની નિકાસ લગભગ ૪૪.૧૨ મિલિયન ડોલરની છે. ભારતીય નિકાસકારો માટે ચિંતા એ છે કે પાકિસ્તાની કંપનીઓ ઓછી કિંમતોના આધારે ઓસ્ટ્રેલિયન બજારમાં પોતાનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરી શકે છે.
પરિણામે ભારતીય નિકાસકારોએ ભાવ ઘટાડવા પડે અને તેમના નફાના માર્જિન પર દબાણ આવી શકે છે.
આ ચુકાદાની અસર માત્ર ઓસ્ટ્રેલિયા સુધી મર્યાદિત રહેવાની શક્યતા નથી. ઓસ્ટ્રેલિયાને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ કાનૂની ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. તેથી પાકિસ્તાન આ નિર્ણયનો આધાર લઈને યુરોપિયન યુનિયન, ન્યૂઝીલેન્ડ અને કેન્યા જેવા બજારોમાં પણ ‘બાસમતી’ નામ અંગે પોતાના દાવાને વધુ મજબૂત બનાવી શકે છે.
કોર્ટે ઓસ્ટ્રેલિયાના ટ્રેડ માર્ક્સ એક્ટ, ૧૯૯૫ની જોગવાઈઓ, ખાસ કરીને સેક્શન ૧૭૭(૨),ને ધ્યાનમાં લીધી હતી. આ જોગવાઈ હેઠળ સર્ટિફિકેશન માર્ક પ્રમાણિત માલને બિન-પ્રમાણિત માલથી અલગ ઓળખવામાં સક્ષમ છે કે નહીં તે નક્કી કરવા માટે વિવિધ પરિબળો જોવામાં આવે છે.
આ નિર્ણય ભારતના બાસમતી નિકાસ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પડકાર ઊભો કરે છે અને વૈશ્વિક બજારમાં ‘બાસમતી’ નામના વેપારી અને કાનૂની હકો અંગેની સ્પર્ધાને વધુ તેજ કરી શકે છે.

