Rajkot,તા.૨૯
રાજકોટ શહેર પોલીસના ગુનાખોરી પર અંકુશ લાવવાના આદેશ બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું છે. આરોપી રીમાન્ડ દરમિયાન વધુ ગેરકાયદેસર હથિયારોનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર,પીસીબી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના આધારે ૧૮ ઓગસ્ટના રોજ પીસીબીની ટીમે ૨ દેશી બનાવટની પિસ્ટલ અને ૧૧ જીવતા કારતુસ સાથે બે ઇસમ યાકિબ મામટી અને અરબાઝ કાજીને ઝડપી પાડ્યા હતા.
આ ગુનાની તપાસ પીએસઆઇ આર.કે.જાડેજા કરતા હતા. પકડાયેલા યાકિબ મામટી અને અરબાઝની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ હથિયારો તેમને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી અકીલ વલીભાઇ સૈયદ (ઉ.વ.૩૦, રહે . સાવરકુંડલા જી.અમરેલી)એ આપ્યા હતા.
આ ગંભીર ખુલાસા બાદ પીસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી આરોપી અકીલ સૈયદનો કબ્જો લીધો હતો અને કોર્ટમાંથી ૫ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા.
રીમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે વધુ હથિયારો રાજકોટ શહેરની બહાર આજીડેમ આસપાસ અવાવરૂં જગ્યાએ છુપાવ્યા હોવાની જગ્યા બતાવી હતી, જેના આધારે પોલીસે તેની પાસેથી વધુ ૧ દેશી પિસ્તોલ અને ૧ દેશી કટ્ટો (તમંચો) કબ્જે કર્યા હતા.
આ સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં પોલીસે કૂલ ૩ આરોપીની ધરપકડ કરી છે અને કૂલ ૪ દેશી બનાવટના હથિયારો અને ૧૧ જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.
અકીલ સૈયદ પાસેથી કબ્જે કરાયેલ મુદ્દામાલ
દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ (કિંમત રૂપિયા ૨૫૦૦૦)
દેશી બનાવટનો કટ્ટો (તમંચો)-૧ (કિંમત ૫૦૦૦ રૂપિયા)
એક તરફ આરોપી મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો છે, છતાં તે જેલમાં બેઠા બેઠા બહાર હથિયારોનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ હથિયારો કોને આપવાના હતા અને ક્યા ગુનામાં ઉપયોગ થવાના હતા તે દિશામાં પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ આરોપીના રીમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ફરી જેલ હવાલે કરવામાં આવશે અને તેના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

