વરસાદ ખેંચાતા પશુધન માટે ઘાસચારાની ગંભીર અછત, ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને જીવદયાપ્રેમીઓની સરકાર સમક્ષ તાત્કાલિક વ્યવસ્થાની માંગ
Rajkot તા.૧૦ઃ
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો અને પાલો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઘાસચારાની અછત સાથે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાના કારણે પશુઓની સેવા કરતી સંસ્થાઓ પર આર્થિક ભાર સતત વધી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા વિસ્તારોમાંથી રાજકોટ સહિતના વિસ્તારોમાં સૂકો ઘાસ અને પાલો પહોંચે છે. જોકે હાલની પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં પણ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે. કચ્છમાંથી રાજકોટ તરફ આવતો સૂકો ઘાસ તથા પોરબંદર તરફથી આવતો પાલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ છે. દ્વારકા અને જામખંભાળિયા વિસ્તારમાં પણ પાલાની અછત જોવા મળી રહી છે. પરિણામે રાજકોટની ગૌશાળાઓ અને પાંજરાપોળોને જરૂરી જથ્થામાં ઘાસચારો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત મૂંગા પશુઓ માટે ઘાસચારો સૌથી મૂળભૂત જરૂરિયાત છે. વરસાદ ખેંચાતા સ્થાનિક સ્તરે ઘાસનું ઉત્પાદન ઓછું થયું છે અને બહારથી ઘાસ મંગાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ પરિવહન ખર્ચ અને વધતા બજારભાવના કારણે સંસ્થાઓ માટે દરરોજ મોટી માત્રામાં ઘાસચારો ખરીદવો મુશ્કેલ બની રહ્યો છે. ગૌશાળાઓ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૂકા ઘાસચારાના ભાવમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે પશુઓની નિભાવ વ્યવસ્થા વધુ પડકારજનક બની છે.
હાલમાં સૂકા ઘાસચારાના ભાવમાં થયેલા વધારાને કારણે ગૌશાળા અને પાંજરાપોળોની મુશ્કેલી વધી છે. એક તરફ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે અને બીજી તરફ ઊંચા ભાવે પણ પૂરતી માત્રામાં યોગ્ય ગુણવત્તાનો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાઓ માટે પશુઓની દૈનિક જરૂરિયાત પૂરી કરવી સતત આર્થિક પડકાર બની રહી છે.
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો તથા જીવદયાપ્રેમીઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે રિઝર્વ ફોરેસ્ટમાં ઉપલબ્ધ સૂકા ઘાસચારાનો તાત્કાલિક ધોરણે સદુપયોગ કરી જરૂરિયાતમંદ ગૌશાળાઓ અને પાંજરાપોળોને ફાળવવામાં આવે. જો સરકારી તંત્ર પાસે ઉપલબ્ધ સૂકા ઘાસનો જથ્થો સમયસર જરૂરિયાતમંદ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવે તો વર્તમાન ઘાસચારાની અછત દરમિયાન મોટી રાહત મળી શકે છે.આવો, સાથે મળીને સંકલ્પ કરીએ પશુ બચાવીએ, પાણી બચાવીએ, ઘાસ બચાવીએ, ગૌચર બચાવીએ અને ગામ બચાવીએ.વિશેષ માહિતી માટે મો. ૯૭૧૪૯ ૯૫૯૫૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

