૧૨ વિધાર્થીઓને સ્કૂલે જતી વેળાએ નડ્યો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી
અકસ્માત સર્જી બસ ચાલક રફુચક્કર: સ્કૂલ વાન પલટતા એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો
Rajkot,તા,29
રાજકોટ શહેરમાં આજે સવારે ટ્રાફિકથી ધમધમતા મોટી ટાંકી ચોક વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જઈ રહેલી ઈકો વાનને સિટી બસે ટક્કર મારતા વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, વાનમાં સવાર ૧૨ વિદ્યાર્થીઓ પૈકી એકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ કોટક સ્કૂલના ૧૨ જેટલા વિદ્યાર્થીઓને લઈને ઈકો વાન સ્કૂલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોટી ટાંકી ચોક પાસે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે વાનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો વાન રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત બાળકોની મદદે દોડી આવ્યા હતા. વાનમાં સવાર બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટમાં સિટી બસો દ્વારા સર્જાતા અકસ્માતોની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. આજે ફરી એકવાર એસટી ચાલકની બેદરકારીને કારણે નિર્દોષ ભૂલકાઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ અકસ્માતને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાએ સ્કૂલ વાહનોની સુરક્ષા અને સિટી ડ્રાઈવરોની ગતિ મર્યાદા સામે ફરી સવાલો ઉભા કર્યા છે. કે

