New Delhi, તા.4
દૈનિક વ્યવહારમાં ઘણી વખત આપણી પાસે ફાટેલી, ગંદી કે ક્ષતિગ્રસ્ત કરન્સી નોટો આવી જતી હોય છે, જેને વેપારીઓ કે દુકાનદારો સ્વીકારવાની ના પાડે છે. જોકે, ભારતીય રિઝર્વ બેંકના સ્પષ્ટ નિયમો અનુસાર દેશની કોઈપણ બેંક શાખા આવી નોટો બદલી આપવાનો ઇનકાર કરી શકતી નથી.
આરબીઆઈની નોટ રિફંડ રૂલ્સ 2009 અને સુધારેલા 2018 મુજબ, નાગરિકોને કોઈપણ વધારાના ચાર્જ વિના આવી નોટો બદલીને નવી કે યોગ્ય નોટો મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે.
આ સુવિધા મેળવવા માટે તમાં ખાતું તે ચોક્કસ બેંકમાં હોવું જરૂરી નથી; તમે કોઈપણ નજીકની વાણિજ્યિક (કોમર્શિયલ) બેંકની શાખાના કાઉન્ટર પર જઈને નોટ બદલાવી શકો છો.
આરબીઆઈના નિયમો મુજબ ખૂબ જ જૂની, ગંદી, બે કે તેથી વધુ ટુકડા થયેલી, અમુક ભાગ ગાયબ હોય તેવી અથવા પ્રિન્ટિંગમાં તકનીકી ખામી ધરાવતી નોટો બેંક દ્વારા બદલી આપવામાં આવે છે. નોટની સ્થિતિ અને તેની ફાટેલી સીમાના આધારે બેંક તેની પૂરી અથવા નિયમાનુસાર યોગ્ય કિંમત ચૂકવે છે.
જો કોઈ બેંક શાખા અથવા કર્મચારી આવી ફાટેલી નોટો બદલવાની ના પાડે, તો ગ્રાહક તેની સામે કડક કાર્યવાહી કરાવી શકે છે. તેના માટે સૌપ્રથમ સંબંધિત બેંકનાં બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરીને બેંકના ફરિયાદ રજિસ્ટરમાં લેખિત ફરિયાદ નોંધાવવાની રહે છે.
આ નિયમ હેઠળ બેંકની આંતરિક ફરિયાદ નિવારણ પ્રણાલી પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 30 દિવસનો સમય હોય છે. જો લેખિત ફરિયાદ નોંધાવ્યાના એક મહિનાની અંદર બેંક ગ્રાહકની સમસ્યાનો ઉકેલ ન લાવે અથવા તેના જવાબથી સંતોષ ન થાય, તો ગ્રાહક સીધા આરબીઆઈના બેંકિંગ ઓમ્બુડ્સમેન (લોકપાલ) નો સંપર્ક કરી શકે છે.
આ ફરિયાદ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે, જે આરબીઆઈના સત્તાવાર CMS પોર્ટલ (cms.rbi.org.in) પર ઓનલાઇન નોંધાવી શકાય છે. આ ઉપરાંત, ગ્રાહકો આરબીઆઈની ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 14448 પર કોલ કરીને પણ માર્ગદર્શન મેળવી શકે છે.

