New Delhi,તા.20
સીબીઆઈએે નીટ પેપર લીક કેસની તપાસના સંદર્ભમાં નાગપુરમાં બે વિદ્યાર્થીઓના ઘરોમાં દરોડા પાડયા હતાં. તપાસ એજન્સીએ ફોરેન્સિક તપાસ માટે મોબાઇલ ફોન, લેપટોપ, હસ્તલિખિત નોંધો અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.બંને વિદ્યાર્થીઓ આ વર્ષે નીટ પરીક્ષામાં બેઠા હતા અને ખાનગી કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સ દ્વારા તૈયારી કરી રહેલા રિપીટર હતા.
સીબીઆઈને શંકા છે કે તેમને પુણેના નેટવર્ક દ્વારા લીક થયેલા પ્રશ્નપત્રો મળ્યા હતા. સૂત્રોનો દાવો છે કે દરેક ઉમેદવારને લગભગ ૧૫ લાખ રૂપિયામાં પ્રશ્નપત્ર વેચવામાં આવ્યું હતું.
અધિકારીઓનું માનવું છે કે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ પુણે સ્થિત બ્યુટિશિયન મનીષા વાઘમારે દ્વારા વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા હતા. વાઘમારેએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પેપર લીક સિન્ડિકેટના સભ્યો સાથે જોડતી મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ પાછળથી કથિત રીતે પુણેથી ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાંના એક રસાયણશાના લેક્ચરર પીવી કુલકર્ણીના સંપર્કમાં આવ્યા હતા.
તપાસકર્તાઓને શંકા છે કે પસંદગીના ઉમેદવારોને પરીક્ષા પહેલા પુણે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી સત્રો દરમિયાન ગુપ્ત પ્રશ્નો અને જવાબો શેર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
સીબીઆઈ હવે કોલ રેકોર્ડ્સ, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. જેના લીધે વ્યાપક નેટવર્કની અને કથિત કૌભાંડ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિની માહિતી મેળવી શકાય.
નીટનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરવી પડી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્રથી અધ્યાપકો પી વી કુલકર્ણી તથા મનીષા માંઢરે ઉપરાંત બ્યુટિશિયન મનીષા વાઘમારે , પેપર વાયરલ કરનારા શુભમ કુલકર્ણીની ધરપકડ થઈ ચૂકી છે.

