New Delhi,તા.23
સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારાના અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર પાસે અત્યારે ઇંધણના ભાવ વધારવા માટેનો આવો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આથી, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાવાની જરૂર નથી.
આ અંગે મંત્રાલયે ‘X’ પર જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના અહેવાલો માત્ર ‘ફેક ન્યૂઝ’ છે. આવા સમાચાર જાણીજોઈને લોકોમાં ડર અને ગભરાટ ફેલાવવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે આવા ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરવો.સરકારે વધુમાં એક મહત્ત્વની બાબત રજૂ કરતા જણાવ્યું કે, ભારત કદાચ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છેલ્લા 4 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ આવવા છતાં, ભારત સરકાર અને ઓઇલ ઉત્પાદક કંપનીઓએ(Oil PSUs) સતત પ્રયાસો કરીને ભારતીય નાગરિકોને ભાવ વધારાના બોજથી સુરક્ષિત રાખ્યા છે. આમ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ભાવ વધારાની કોઈ શક્યતા નથી અને જનતાએ અફવાઓથી દૂર રહેવું જોઈએ.

