૧૯૭૩થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર Anant Nag પાંચ દાયકામાં ૨૦૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું
Mumbai, તા.૧૯
દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગે પોતાને મળનારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકના લોકો અને રાજ્યની ફિલ્મ સંસ્કૃતિને સમર્પિત કર્યો છે. તેમના મતે, કર્ણાટકના ફિલ્મકારો, કલાકારો અને ખાસ કરીને દર્શકોના સહયોગને કારણે તેઓ આર્ટ ફિલ્મોથી લઈને કમર્શિયલ સિનેમા સુધી વિવિધ પ્રકારનું કામ કરી શક્યા. તેમણે કહ્યું કે આ પ્રકારની કારકિર્દી અન્ય કોઈ રાજ્યમાં કદાચ શક્ય ન બની હોત.૭૭ વર્ષીય અનંત નાગે કર્ણાટકના દર્શકોને “ખૂબ જ શિક્ષિત અને પારખુ” ગણાવ્યા.
તેમના જણાવ્યા મુજબ રાજ્યના નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા-અભિનેત્રીઓ અને દર્શકોના સાંસ્કૃતિક વાતાવરણે તેમની કારકિર્દીને આકાર આપ્યો. ૧૯૪૮માં ઉત્તર કન્નડ જિલ્લાના શિરાલીમાં જન્મેલા અનંત નાગ ૧૨ વર્ષની ઉંમરે મુંબઈ ગયા હતા. કોલેજના સમયમાં તેમણે બેંકમાં નોકરી પણ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે રંગમંચ સાથે જોડાયા અને લગભગ પાંચ વર્ષ થિયેટરમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો.૧૯૭૩થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અનંત નાગે પાંચ દાયકામાં ૨૦૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ દિવંગત અભિનેતા-દિગ્દર્શક શંકર નાગના નાના ભાઈ છે.અનંત નાગને ૨૦૨૫માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમણે કર્ણાટકના લોકોને સમર્પિત કર્યું હતું. હવે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓ રાજ્યને અર્પણ કરશે. ૨૨ સપ્ટેમ્બરે યોજાનાર ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. એવોર્ડમાં સ્વર્ણ કમલ ચંદ્રક, શાલ અને ૧૦ લાખનું રોકડ ઇનામ સામેલ છે.

