Ahmedabad,તા.૧૯
ગુજરાતમાં નવરાત્રિ ૨૦૨૬ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પરંપરાગત ગરબા સાથે નવા કમ્પોઝિશન, લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોનો સંગમ જોવા મળશે. અનેક જાણીતા કલાકારો અને સિંગર્સ ખેલૈયાઓને ગરબે ઘૂમાવવા માટે તૈયાર છે.
સિંગર હાર્દિક દવેના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિને માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રાખીને તેના મૂળ ભાવ અને પરંપરા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ‘વેન્યૂ’ જેવા શબ્દને બદલે ‘ગરબી ચોક’ જેવા પરંપરાગત શબ્દોના ઉપયોગથી નવરાત્રિના મૂળ સ્વરૂપને જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
હાર્દિક દવેના જણાવ્યા મુજબ, ‘સશક્ત નવરાત્રિ’ અંતર્ગત નવરાત્રિના મૂળ અર્થ અને આધ્યાત્મિક ભાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે આયોજકો અને કલાકારો માત્ર કાર્યક્રમની તૈયારી જ નહીં, પરંતુ માતાજી સંબંધિત પુસ્તકોનું વાંચન, રીડિંગ, મેડિટેશન અને વિવિધ સેશન્સ પણ કરે છે.
આ વર્ષે હાર્દિક દવેનું નવરાત્રિ આયોજન અમદાવાદના સોલા ભાગવત ખાતે થવાનું છે. જોકે તેમનું ગ્રુપ મોટું હોવાથી ભવિષ્યમાં સ્થળમાં ફેરફાર થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. હાલ સોલા ભાગવતનું સ્થળ નક્કી હોવાનું જણાવાયું છે.
હાર્દિક દવેના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિની તૈયારી માત્ર એક મહિના પૂરતી નથી રહેતી. આખા વર્ષ દરમિયાન ટીમની બેઠકો અને તૈયારીઓ ચાલતી રહે છે. ખાસ કરીને નવરાત્રિના એક મહિના અગાઉથી નિયમિત રીતે રિહર્સલ અને અન્ય તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે તેમના કાર્યક્રમમાં નવા કમ્પોઝિશનને પણ સ્થાન મળશે. ‘સોળ સજીને માઁ… દિવા બાળીને માઁ…’ જેવા નવા ગરબાને લઈને પણ ખેલૈયાઓમાં રસ જોવા મળી રહ્યો છે.સુરતમાં પણ નવરાત્રિ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સિંગર અપેક્ષા પંડ્યાએ ગરબા રસિકોને આમંત્રણ આપતા જણાવ્યું છે કે, ‘સૂર તાલ ને સંગ રાસરંગ નવરાત્રિ ૨.૦’નું આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં નવેય દિવસ પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપરાંત નવા દેશી લોકગીતો તથા ટ્રેન્ડિંગ ગીતોની રજૂઆત કરવામાં આવશે. આ નવરાત્રિ મોટા વરાછા ન્યૂ આઉટર રિંગ રોડ સ્થિત અયોધ્યા એસી બેન્કવેટ ડોમ ખાતે યોજાવાની છે.
સુરતની નવરાત્રિમાં આ વર્ષે જાણીતા ગરબા ગાયિકા ફાલ્ગુની પાઠક પણ ખાસ આકર્ષણ બની રહેશે. તેઓ લાંબા સમય બાદ સુરતમાં નવરાત્રિ માટે પરફોર્મ કરવા આવી રહ્યા છે. ૨૨ ઓક્ટોબરે યશ્વી નવરાત્રિમાં તેઓ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે. આ ઉપરાંત સિંગર પૂર્વા મંત્રી પણ ‘યશ્વી નવરાત્રિ ૩.૦’માં પરફોર્મ કરશે. તેમના જણાવ્યા પ્રમાણે, આ આયોજનમાં પરંપરાગત માહોલ સાથે ઉર્જાસભર સંગીત અને ઢોલના તાલની ધમાલ જોવા મળશે.અમદાવાદમાં પણ આ વર્ષે નવરાત્રિના વિવિધ આયોજનોમાં જાણીતા કલાકારોના પર્ફોર્મન્સ જોવા મળશે. આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે અને ઈશાની દવે સહિતના કલાકારો અલગ-અલગ ગરબી ચોકમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ઝૂમાવશે.આ વર્ષે એક તરફ પરંપરાગત ગરબા અને લોકસંગીતને મહત્વ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ નવા કમ્પોઝિશન અને લોકપ્રિય ગીતો પણ નવરાત્રિના કાર્યક્રમોમાં સ્થાન મેળવી રહ્યા છે. પરિણામે ૨૦૨૬ની નવરાત્રિમાં પરંપરા અને આધુનિક સંગીતનો અનોખો સંગમ જોવા મળે તેવી શક્યતા છે.

