ગામડી નજીક કરંટથી મોતની શંકા, પી.એમ. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
Ahmedabad, તા.૧૯
અમદાવાદના વટવામાં ગામડી જવાના રોડ ઉપરથી વરસતા વરસાદમાં બે યુવકોને મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં બંને મિત્રો ૧૭મી સપ્ટેમ્બરના રોજ એ.સી રિપેરિંગ કરવા માટે જવાનું કહીને ઘરેથી ગયા હતા અને ૧૮મી સપ્ટમ્બરના રોજ સવારે તેના મૃતદેહ મળી આવ્યા હતા. શરીરે ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. કરંટથી મોતની શંકા સેવાઈ રહી છે, જો કે, ત્યાંથી જીવતા કોઈ વાયર પણ મળી આવ્યા ન હતા.
મળતી માહિતી અનુસાર, શાહવાડી નારોલ ખાતે રહેતા ૨૭ વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા ૩૭ વર્ષીય દિપક પરમાર બંને મિત્રો ગઈકાલે એ.સી. રિપેરિંગ કરવા જવાનું કહીને ઘરેથી બાઈક પર બેસીને ગયા હતા. આ દરમિયાન શુક્રવારે સવારે વટવા પોલીસને મેસેજ મળ્યો હતો કે વટવા વિસ્તારમાં ગામડી ગામ તરફ જવાના માર્ગ ઉપર બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.વટવા પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતાં બન્ને યુવકોના શરીર ઉપરથી ઈજાના નિશાન મળ્યા ન હતા જેથી મોત ક્યા કારણથી થયા હતા. તે જાણવા હાલ તો પોલીસે પીએમ અને એફએસએલ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે, બીજીતરફ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ લોકેશન આધારે તપાસ કરાઈ રહી છે.

