Surendranagar, તા.22
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.
આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય આપણા આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે સમગ્ર દુનિયાને યોગનું સાચું મહત્વ સમજાવ્યું છે. વડા પ્રધાનશ્રી પોતે આજે પણ ક્યારેય થાકેલા જણાતા નથી, તેમજ તેમના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નથી. આ બધું જ તેમના જીવનમાં વણાયેલા યોગના કારણે જ શક્ય બન્યું છે.
યોગ માત્ર શારીરિક કસરત કે આસન નથી, પરંતુ તે આપણા આત્માને પણ તંદુરસ્ત રાખે છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, યોગ આપણને આધ્યાત્મિક જીવન તરફ લઈ જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે. પ્રાચીન સમયમાં આપણા ઋષિમુનિઓ યોગ દ્વારા હજારો વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવતા હતા,
તેવી જ રીતે આપણે પણ યોગને આપણા જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ શહેરોમાં યોગનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે અને લોકોને તેની મહત્તા સમજાવવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે અને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં શરીર પૂરો સહકાર આપે છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલી લેવા સૌને અપીલ કરી હતી અને માત્ર એક જ દિવસ પૂરતું નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડિનેટર સુશ્રી મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુકત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો.

