ચલથાણ ગામે આવેલા ખુમાનસિંહ વાડી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે
Surat, તા.૧૮
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા ખુમાનસિંહ વાડી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, સવારના સમયે મકાનમાં રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું રહી ગયું હતું, જેના કારણે આખો દિવસ ગેસ લીક થતો રહ્યો હતો. સાંજે જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા અને લાઈટ ચાલુ કરી, ત્યારે અચાનક જોરદાર ધડાકો થયો હતો.
આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે મકાનનો ભાગ નુકસાનગ્રસ્ત થયો અને આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી હતી. આ ઘટનામાં કુલ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાંથી ૩ લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ૩ લોકોને સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને બ્લાસ્ટનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના લોકોને ગેસનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની ચેતવણી આપે છે.

