જીજ્ઞેશ પટેલ Manavadar તા.૭
માણાવદરમાં લાયન્સ સ્કૂલના વળાંક નજીક જલારામ વેબ્રિજ પાસે સંરક્ષણ દીવાલ (પાળી) વગરની ખુલ્લી ગટરમાં એક જ પરિવારના સભ્યો બાઇક સાથે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. પિતા પોતાના ત્રણ બાળકોને બાઇક પર સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ખુલ્લી ગટરના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં પરિવારના બે સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ૨ થી ૩ બાળકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઘટના બનતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માત સમયે નજીકમાં જ ટ્રક રિપેર કરાવી રહેલા ભરત ઓડેદરાએ સરાહનીય કામગીરી દર્શાવી હતી. તેમણે નજર સામે જ બે નાની વિદ્યાર્થીનીઓ, એક નાનો છોકરો અને તેમના પિતાને બાઇક સાથે ગટરમાં પડતા જોયા હતા. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ ગટરમાં કૂદીને બંને વિદ્યાર્થીનીઓ સહિત બાળકોને સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોએ પણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે.
પીડિત પરિવારના સીમાબેન વાઘેલા અને કુમનભાઈ સોલંકીએ ભારે હૈયે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અચાનક બનેલી આ ઘટનામાં તેમની પુત્રી, જમાઈ અને બાળકો ઇજાગ્રસ્ત થતાં પરિવાર આર્થિક રીતે મૂંજવણમાં મુકાયો છે. મજૂર વર્ગનો આ પરિવાર હાલ હોસ્પિટલ અને સારવારના ખર્ચને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અને નગરપાલિકાની બેદરકારીને આ દુર્ઘટના માટે સીધી જવાબદાર ગણાવી રહ્યો છે.
સામાજિક કાર્યકર અને સ્થાનિક અમીશ સોલંકી તેમજ ભરત ઓડેદરાએ આ મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે, લાયન્સ સ્કૂલ વળાંક પાસે આવેલા ગટર પર તાત્કાલિક પ્રોટેક્શન વોલ (સંરક્ષણ પાળી) બનાવવામાં આવે. જો અહીં યોગ્ય બાઉન્ડ્રી વોલ નિર્માણ કરવામાં આવશે તો ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકાવી શકાશે. સ્થાનિકોએ નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપી ત્વરિત કામગીરી કરવા અપીલ કરી છે જેથી અન્ય કોઈ માસુમ બાળકો કે નાગરિકો આ પ્રકારની બેદરકારીનો ભોગ ન બને.

