Jamnagar,તા.૨૦
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવા અને વીજ થાંભલા ઉભા કરવાના મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ કંપનીઓ અને તંત્રના નિર્ણય સામે કિસાન સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો છે. ગામના શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર નજીક ખેડૂતો દ્વારા ‘કિસાન સત્યાગ્રહ છાવણી’ ઊભી કરવામાં આવી છે. અહીં વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત ખેડૂતોએ અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીઓ દ્વારા તેમના ખેતરોમાં વીજ લાઇન માટે થાંભલા ઉભા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ખેડૂતો પોતાના હક અને જમીન સંબંધિત પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માગણીઓ અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
વાવડીમાં શરૂ થયેલો સત્યાગ્રહ હવે આસપાસના ગામોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. લીંબુડા, અણદા, ભાદરા, કેશીયા અને રામપર સહિતના પાંચ ગામોના ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. આ ગામોના ખેડૂતોએ વાવડીના આંદોલનને સમર્થન આપ્યું હતું અને મોટી સંખ્યામાં છાવણી ખાતે હાજરી આપી ખેડૂતોની માગણીઓને સમર્થન જાહેર કર્યું હતું.
સત્યાગ્રહમાં જોડાવા માટે આસપાસના ગામોમાંથી લોકો વાવડી પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના નાદ અને સામૈયા સાથે ખેડૂતો તથા ગ્રામજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મહિલાઓ અને પુરુષ ખેડૂતો સાથે મળીને આંદોલનને સમર્થન આપતા જોવા મળ્યા હતા.
વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત ખેડૂતોએ સત્યાગ્રહ છાવણીમાં અન્નનો ત્યાગ કર્યો છે. સરપંચે જણાવ્યું હતું કે તેઓ માત્ર પાણીના સહારે ઉપવાસ કરશે અને જ્યાં સુધી તંત્ર તથા સંબંધિત વીજ કંપનીઓ તરફથી સંતોષકારક નિર્ણય નહીં આવે ત્યાં સુધી છાવણી છોડશે નહીં. સરપંચના જણાવ્યા મુજબ, ખેડૂતો આ લડતને અંત સુધી લઈ જવા માટે તૈયાર છે અને તેમની માગણીઓનું નિરાકરણ આવે તે તેમની મુખ્ય માગ છે.
સત્યાગ્રહમાં જોડાયેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના પ્રશ્નોના કાયમી અને યોગ્ય ઉકેલની માગ કરી રહ્યા છે. જ્યાં સુધી તંત્ર અને વીજ કંપનીઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી અન્નત્યાગ સહિતનો વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.વાવડીમાં શરૂ થયેલા કિસાન સત્યાગ્રહને આસપાસના પાંચ ગામોનું સમર્થન મળતા આંદોલનને વ્યાપક સ્વરૂપ મળ્યું છે. હવે તંત્ર અને વીજ કંપનીઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. હાલમાં સત્યાગ્રહ છાવણીમાં સરપંચ સહિત સાત ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને ખેડૂતો દ્વારા પોતાની માગણીઓ માટે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે.

