આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે
New Delhi, તા.૩૦
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે. રાજ્યમાં હજુ પણ ૩.૩૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૭૫ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને આપવામાં આવતી સહાય રકમ વધારીને ૯ લાખ રૂપિયા કરી છે. વધુમાં, વળતર આપવાના નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવસાગર, ચરાઈદેવ, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ, સોનિતપુર અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત સાત જિલ્લાઓ હજુ પણ પૂરથી પ્રભાવિત છે. ૨૧ મહેસૂલ વર્તુળો અને ૬૨૨ ગામો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ૩.૩૨ લાખ સુધી પહોંચી ગઈ છે. ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં ૧.૪૨ લાખ લોકો અસરગ્રસ્ત છે, ત્યારબાદ શિવસાગરમાં ૯૭,૦૭૪ અને જોરહાટમાં ૫૭૩૭૧ લોકો અસરગ્રસ્ત છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે શિવસાગર જિલ્લાના નઝીરા મહેસૂલ વિસ્તારમાં સાત લોકોના મોત થયા છે, જેના કારણે આ વર્ષે પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક ૭૫ થયો છે. સોમવારે, છ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા હતા જેનાથી ૪.૪૫ લાખ લોકો પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૮૧ રાહત શિબિરો કાર્યરત છે, જ્યાં ૩૨,૪૭૭ વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત, ૩૪ રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે.સેના, વાયુસેના, દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, અગ્નિશામક અને કટોકટી સેવાઓ અને નાગરિક સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ૪૫,૩૪૧.૯૮ હેક્ટર પાકની જમીન ડૂબી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત શિવસાગર જિલ્લામાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી જાળવવા માટે ઇન્ટ્રા-સર્કલ રોમિંગ (ૈંઝ્રઇ) સુવિધા ૩૦ જુલાઈના રોજ રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી અથવા આગામી આદેશો સુધી લંબાવવામાં આવી છે.મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત બાળકોને આ મુશ્કેલ સમયનો સામનો કરવામાં મદદ કરવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બુધવારે સોશિયલ મીડિયા પર રાહત શિબિરોમાં અભ્યાસ કરતા બાળકોના ફોટા શેર કરતા મુખ્યમંત્રી શર્માએ કહ્યું, “રાહત શિબિરોમાં બાળકો માટે અનુકૂળ વાતાવરણ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે. અભ્યાસ અને રમવા માટે અલગ જગ્યાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પૂર તેમના બાળપણને અસર ન કરે અને વર્તમાન પરિસ્થિતિને કારણે તેમને કોઈ નુકસાન ન થાય.”

