New Delhi તા.27
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના આગામી ઘરેલુ સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ગુરુવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 27 સપ્ટેમ્બરથી શરૂ થતી સિઝન આવતા વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમ દેશના 17 શહેરોમાં કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભારતનો પ્રવાસ કરશે.
છ મહિના દરમિયાન, ભારત આ ટીમો સામે કુલ પાંચ ટેસ્ટ, નવ વન ડે ઈન્ટરનેશનલ (ODI) અને આઠ T20 ઈન્ટરનેશનલ (T20I) રમશે. ભારતીય ક્રિકેટ ટીમના બે ભૂતપૂર્વ કેપ્ટન, રોહિત શર્મા અને વિરાટ કોહલી, જેમણે ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લીધી છે, તેઓ ઘર આંગણે નવ ODI મેચ રમતા નજરે પડશે. મહત્વ પૂર્ણ વાત એ છે કે રાજકોટમાં ટી 20 મેચ રમાશે.
ગત નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચનું આયોજન કર્યા પછી, ગુવાહાટીનું બારસાપારા સ્ટેડિયમ હવે 2027 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચોમાંથી એકનું આયોજન કરશે.
પાંચ સ્થળોમાં નાગપુર (જ્યાં છેલ્લી ટેસ્ટ મેચ 2023 માં ઓસ્ટ્રેલિયા સામે યોજાઈ હતી), ચેન્નાઈ (જ્યાં છેલ્લી ટેસ્ટ મેચ 2024 માં બાંગ્લાદેશ સામે યોજાઈ હતી), રાંચી (જ્યાં છેલ્લી ટેસ્ટ મેચ 2024 માં ઈંગ્લેન્ડ સામે યોજાઈ હતી), અને અમદાવાદ (જ્યાં છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર 2025 માં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી) ને BCCI ની રોટેશન નીતિ અનુસાર યજમાન અધિકારો આપવામાં આવ્યા છે.
જોકે, ગુવાહાટીને ફરીથી યજમાન અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા તે સ્પષ્ટ નથી, કારણ કે તેણે નવેમ્બર 2025 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. મુંબઈ અને કોલકાતા આ મહત્વપૂર્ણ શ્રેણીનો ભાગ નથી.
ઝિમ્બાબ્વેની ટીમ
24 વર્ષ પછી આવશે
ભારતની ઘરેલુ સિઝનમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.ભારત વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનું પણ આયોજન કરશે. ઝિમ્બાબ્વે 2002 પછી પહેલીવાર ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમશે.
24 વર્ષ પહેલાં જ્યારે તેઓ છેલ્લી વખત દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે સૌરવ ગાંગુલી ભારતીય ટીમના કેપ્ટન હતા. ઝિમ્બાબ્વે જાન્યુઆરી 2027માં ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ મેચો કોલકાતા (3 જાન્યુઆરી), હૈદરાબાદ (6 જાન્યુઆરી) અને મુંબઈ (9 જાન્યુઆરી)માં રમાશે.

