Gandhinagar,તા.10
ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યમાં એલ.પી.જી (LPG) ગેસના પુરવઠાની વ્યવસ્થાને વધુ સુચા અને કાર્યક્ષમ બનાવવા માટે અગાઉના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, સિરામિક, ગ્લાસ અને એરોસોલ સહિતના એકમોને હવે માર્ચ 2026 પહેલાના તેમના વપરાશ સ્તરના 70% સુધી બલ્ક બિન-ઘરેલું LPG મળી શકશે.આ સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા 0.2 TMT/દિવસ નક્કી કરવામાં આવી છે.આ નવી વ્યવસ્થા હેઠળ ફાળવણી માટે કેટલીક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે.
એવા એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં ઉત્પાદન પ્રક્રિયામાં LPG નો ઉપયોગ અનિવાર્ય હોય અને કુદરતી ગેસ તેનો સક્ષમ વિકલ્પ બની શકે તેમ ન હોય. આ સુવિધા મેળવવા ઈચ્છતા તમામ એકમોએ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની પાસે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત, સંબંધિત એકમોએ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પાસે PNG કનેક્શન માટે અરજી કરેલી હોવી જરૂરી છે, જોકે જે કિસ્સામાં LPG એ ઉત્પાદન પ્રક્રિયાનો અભિન્ન ભાગ હોય તેમને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.વધુમાં ઔધોગિક શ્રમિકો માટે ગુજરાત રાજ્યમાં 5 (પાંચ) કીલોના કુલ – 98,883 સિલિન્ડર પુરા પાડવામાં આવેલ છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

