ભારતીય ટીમ ૧૧ જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ ટી૨૦ મેચ રમશે : ગિલ નેતૃત્વ કરશે
New Delhi, તા.૩
૨૦૨૬ની ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો ટેસ્ટ ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારતીય ટીમ ૧૧ જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ ટી૨૦ મેચ રમશે. ટી૨૦ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે. વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત આજે (૩ જાન્યુઆરી) કરવામાં આવી.
શુભમન ગિલ વનડે સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમી શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવાયો હતો. ભારતે તે સીરિઝ ૨-૧થી જીતી હતી. શુભમનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, શ્રેયસ ફિટ જાહેર થાય તો જ સીરિઝમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી તે મેદાનની બહાર છે.
મોહમ્મદ સિરાજ અને શ્રેયસ ઐયર પરત ફર્યા છે, પરંતુ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી નિરાશ થયા છે. શમી છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમતા જોવા મળ્યો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઘરેલુ ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહેલા દેવદત્ત પડિકલ અને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. રિષભ પંતે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ન્યુઝીલેન્ડ સામેનીર્ ODIસીરિઝ માટે ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન*), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.
ભારત vs ન્યુઝીલેન્ડની મેચનું શેડ્યૂલ
૧૧ જાન્યુઆરી – પહેલી વનડે, વડોદરા
૧૪ જાન્યુઆરી – બીજી વનડે, રાજકોટ
૧૮ જાન્યુઆરી – ત્રીજી વનડે, ઇન્દોર
૨૧ જાન્યુઆરી – પહેલી T20,નાગપુર
૨૩ જાન્યુઆરી – બીજી T20,રાયપુર
૨૫ જાન્યુઆરી – ત્રીજી T20,ગુવાહાટી
૨૮ જાન્યુઆરી – ચોથી T20,વિશાખાપટ્ટનમ
૩૧ જાન્યુઆરી – પાંચમી T20, તિરુવનંતપુરમ

