સ્થાનિક રહેવાસીઓ સફાઈની સમસ્યાથી કંટાળી ગયા હોવાથી તેઓએ મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે
Jamnagarતા.૧૭
જામનગર મહાનગરપાલિકાની યોજાવા જઇ રહેલી ચૂંટણી વચ્ચે શહેરના વોર્ડ નંબર ૧૦ના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસીઓ સફાઈની સમસ્યાથી કંટાળી ગયા હોવાથી તેઓએ મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ગોમતીપુર વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી, કચરાના ઢગલા અને અયોગ્ય સફાઈ વ્યવસ્થાના કારણે લોકો આરોગ્ય સંબંધિત જોખમનો સામનો કરી રહ્યા છે.
વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ ન આવતા નાગરિકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે માત્ર ચૂંટણી સમયે જ પ્રચાર-પ્રસાર માટે થોડાક દિવસ સફાઈ કરવામાં આવે છે, પરંતુ બાદમાં વિસ્તારમાં કોઈ નિયમિત દેખરેખ રાખવામાં આવતી નથી. આ કારણે ત્રાસી ગયેલા લોકોએ અંતે ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.
વિસ્તારમાં લગાવવામાં આવેલા બેનરો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ભાજપ, કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના ઉમેદવારો પણ હવે આ વિસ્તારમાં પ્રચાર કરવા જતાં પહેલાં વિચાર કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ચૂંટણી દરમિયાન નાગરિકોની મૂળભૂત સમસ્યાઓ અને તેમની અવગણનાને કેન્દ્રસ્થાને લાવી છે, અને સ્થાનિક તંત્ર માટે પણ ચેતવણીરૂપ બની છે.

