(ભરત ભોગાયતા)
Jamnagar તા.૮
Jamnagar જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સરાહનીય તત્પરતા અને માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. આ તેમની ચોથી ડિલિવરી હોવાના કારણે મેડિકલ દ્રષ્ટિએ તેઓ હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા, જેથી પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો.
સમય સૂચકતા વાપરીને અડધા કલાકના ટૂંકા ગાળામાં જ ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. હસમુખ સાગઠિયા તથા પાયલોટ કમલેશ કંટારીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ, ગત દિવસોમાં આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે એમ્બ્યુલન્સ વાડી વિસ્તારમાં આવેલા કમલીબેનના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. અડધે સુધી ગયા બાદ આગળ ખેતર અને કાદવના કારણે વાહન આગળ વધારવું અશક્ય બની ગયું હતું.
બીજી તરફ, માતાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય નહોતો અને સ્થળ પર જ તાત્કાલિક ડિલિવરી કરાવવી પડે તેવી કટોકટીભરી સ્થિતિ ઊભી થઈ હતી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ક્ષણભરનો વિલંબ કર્યા વિના, ૧૦૮ ના હાજર સ્ટાફે પોતાની સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યનો ઉપયોગ કરીને સગર્ભાના ઘરે જ સફળતાપૂર્વક અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.
સફળ પ્રસૂતિ બાદ ખરી કસોટી શરૂ થઈ હતી, કારણ કે માતા અને નવજાત શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાના હતા. એમ્બ્યુલન્સ સ્ટાફે માતા અને બાળકને ખાટલા ઉપર સુવડાવીને સ્થાનિક લોકોની મદદથી આશરે ૫૦૦ મીટર જેટલું અંતર પગપાળા કાપ્યું હતું. કાદવ-કીચડથી ભરાયેલા રસ્તાઓ વચ્ચેથી પસાર થઈને તેઓ સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા.
ત્યારબાદ બંનેને તાત્કાલિક વધુ સારવાર અને દેખરેખ માટે જામજોધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ૧૦૮ સ્ટાફની આ કર્તવ્યનિષ્ઠા અને સેવાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ સાથે જ પ્રસૂતાના પરિવારજનોએ પણ રાજ્ય સરકાર તથા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

