Patna,તા.૩૧
બિહારના અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ’સ્થળાંતર રોકો, નોકરી આપો યાત્રા’ દરમિયાન અંધાધૂંધી મચી ગઈ હતી જ્યારે કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારના અંગત સુરક્ષા ગાર્ડે પાર્ટીના કાર્યકરોને ધક્કો માર્યો હતો. જ્યારે પાર્ટીના કાર્યકરો કુમાર સાથે સેલ્ફી લેવા માટે તેમની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ખાનગી સુરક્ષા ગાર્ડ્સે તેમને રોકવા માટે ધક્કો માર્યો.
પાર્ટી કાર્યકરોના જણાવ્યા અનુસાર,જ્યારે યાત્રા એસએસબી કેમ્પસ નજીક પહોંચી, ત્યારે પાર્ટી કાર્યકરો કન્હૈયા કુમારની નજીક જવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે એકબીજા સાથે ધક્કામુક્કી કરી રહ્યા હતા. જોકે, કન્હૈયા કુમારના અંગત સુરક્ષા ગાર્ડ્સે આનો વાંધો ઉઠાવ્યો અને કેટલાક કાર્યકર્તાઓને ધક્કો માર્યો. આના કારણે પાર્ટીના કાર્યકરો અને ખાનગી સુરક્ષા ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી. યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કન્હૈયા કુમારે યાત્રા અધવચ્ચે જ છોડી દીધી.
આ ઘટના અરરિયામાં એસએસબી કેમ્પસ પાસે બની હતી. કોંગ્રેસની ’સ્થળાંતર રોકો, નોકરી આપો યાત્રા’ ૧૬ માર્ચે પશ્ચિમ ચંપારણ જિલ્લાના ભીતિહરવા આશ્રમથી શરૂ થઈ હતી. આ એ જ જગ્યા છે જ્યાંથી મહાત્મા ગાંધીએ ૧૯૧૭માં તેમનો પ્રખ્યાત ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ’સ્થળાંતર રોકો, નોકરી આપો યાત્રા’ના ૧૫મા દિવસે કુમાર અરરિયા પહોંચ્યા હતા.
અરરિયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઝાકીર અનવરે પત્રકારોને જણાવ્યું હતું કે, “કનહૈયાએ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી કારણ કે તેમને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠક માટે દિલ્હી જવાનું હતું. કન્હૈયા ગયા પછી પણ યાત્રા ચાલુ રહી…તેઓ સોમવારે યાત્રામાં જોડાશે. તેમણે કહ્યું કે આ યાત્રા બિહારના યુવાનોના અધિકારો અને રોજગાર માટેની લડાઈ છે અને તેનો ઉદ્દેશ્ય સ્થળાંતર રોકવાનો પણ છે.”
આ યાત્રા ૨૪ દિવસ સુધી ચાલશે અને ત્રણ તબક્કામાં સમગ્ર રાજ્યમાંથી પસાર થશે અને ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર પટનામાં સમાપ્ત થશે. યાત્રાના એક તબક્કા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ એક દિવસ માટે યાત્રામાં જોડાય તેવી અપેક્ષા છે.