તમામ લોકો પૂજા માટે કોઈ ગામમાં જઈ રહ્યા હતા : આ દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રોલી પલટી
Bhopal, તા.૩૦
Madhya Pradeshમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી આ અકસ્માત સર્જાયો હતો. તેમાં આશરે ૫૦ લોકો સવાર હતા. તમામ લોકો પૂજા માટે કોઈ ગામમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રેક્ટર સાથે ટ્રોલી પલટી ગઈ. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે કહ્યું કે મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં બિજોરા ગામ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી ૬ લોકોના મોત થયા છે અને ૪૦ અન્ય ઈજાગ્રસ્ત થયા છે.
એડિશનલ પોલીસ અધિક્ષક (એડીશનલ જીઁ)એ જણાવ્યું કે ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે ૫૦ લોકો સવાર હતા. ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યા બાદ તે પલટી ગઈ હતી. ભોગ બનનાર લોકો પૂજા માટે પદમનિયાથી બિજોરા ગામ જઈ રહ્યા હતા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર અન્ય લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તોની સારવાર પાલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરિયા જિલ્લાની મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે બિજોરા ગામમાં એક માર્ગ અકસ્માતમાં લોકોના અકાળ મોત અને ઈજાગ્રસ્ત થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને ૪-૪ લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.

