હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ધ્યાનને ભારતીય અધ્યાત્મનું ઉત્તમ અંગ માનવામાં આવ્યું છે. કલાકો નાં કલાકો એ ધ્યાનમાં બેઠાં છે! એવું સાંભળવા મળે, એટલે આપણી નજર આગળ એક સંન્યાસીની છબી અંકિત થઈ જાય, કે જે બ્રહ્મ મુહૂર્તમાં, ભગવા વસ્ત્ર ધારણ કરી, માથે ચંદનનું તિલક કરી, ગળામાં મોટાં મોટાં રુદ્રાક્ષનાં પારાની માળા પહેરીને, આસાન પાથરી, પદ્માસનમાં બેસીને, સગુણ કે નિર્ગુણ સ્વરૂપનું ધ્યાન ધરે છે! પરંતુ આપણે રહ્યાં સંસારી અને કલાકો સુધી ધ્યાન ધરવું એ આપણી હેસિયત બહાર છે! અને આમપણ ધ્યાન ધરવું જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વ ધ્યાન રાખવાનું છે. કારણકે મૂળ વાત મનની શુદ્ધિની છે, એ હોય તો જ ધ્યાન ધરીએ ત્યારે ઈશ્વર અનુસંધાન શક્ય બને! મનની શુદ્ધિ તો ક્ષણેક્ષણ જાગૃત રહીને મનમાં કોઈ મલિનતા પ્રવેશી જાય નહીં, એનું ધ્યાન રાખીએ તો જ શક્ય બને, સંસારી સાધક માટે પહેલાં ઈશ્વર અંદર જ છે, એ પ્રતિતિ કરવી જરૂરી છે. નરસિંહ પણ પોતાની રચનાઓમાં ઈશ્વર આપણી અંદર જ છે, અને એને શોધવાં કોઈ સિદ્ધિની નહીં પણ મનની મલિનતા દૂર કરી શુદ્ધ થવાની અને સતત જાગૃતિ પૂર્વક ધ્યાન રાખવાની જરુર છે, એવી વાતની પુષ્ટિ કરે છે.
** નરસિંહ મહેતા**
૧)ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ … ધ્યાન ધર.
નરસિંહ અહીં શરીર અને આત્મા માટે દેહ અને દેહી એ શબ્દ પ્રયોગ કરીને આત્મ ખોજ માટે કહે છે. જીવ સગુણ પરમાત્માની પ્રતિતિ કરવાં માટે જેમ તું ધ્યાન કરે છે, એ જ પરમતત્વ તારી અંદર પડ્યું છે, અને એને તું શોધી લઈશ, ત્યારે તું એની સાથે નિત્ય સાતત્ય કેળવી શકીશ, અને તારા ઈષ્ટનાં દર્શન તને તારી અંદર ઝાંકવાથી જ થશે! પ્રેમ, પ્રસન્નતા,અને હોઠો પર સ્મિત સજાવેલી અજબ, અનુપમ મૂર્તિ જોવાં તને બહાર જવાની જરૂર નથી, એ તારી અંદર જ છે, તારાં નેત્રમાં એ રુપની છબી અંકિત થઈ ગઈ છે.
૨)મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
નીરખતી નૌતમ સંગ સહેલી … ધ્યાન ધર.
આગળ નરસિંહ કહે છે, ભક્તિની અંતર ભાળની એક સ્મૃતિ નેત્રમાં એટલે કે આંખની દ્રષ્ટિમાં કાજળ જેમ કૃષ્ણ અંજાઈ ગઈ છે, અને એટલે જ્યાં નજર પડે, ત્યાં વૃંદાવનનાં વન વગડા અને વ્રજની ભૂમિ દેખાય! કુંજ ગલીઓમાં કૃષ્ણને રાધા કે ગોપીઓ સંગે ક્રીડા કરતો જોઇ મન અદ્વિતીય સૌંદર્ય અથવા તો નિત નૂતન રૂપ જોઈ પ્રસન્ન થાય, અને ભીતર સકામ, નિષ્કામનો ભેદ ઓગળી જતાં સારાં નરસા બધાં કર્મ ભાગી ગયાં.
૩)મોરલીનાં નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે … ધ્યાન ધર.
નરસિંહમાં તો કૃષ્ણ ભક્તિની પરાકાષ્ઠા હતી, અને એટલે એને તો આંતર બાહ્ય પ્રકૃતિમાં બધે એ જ કૃષ્ણ કામણગારો દેખાય, અને એટલે જ એને મોરલી નાદ હોય, કે શ્રાવણનાં વરસાદ રુપે સાદ હોય, કે પછી મંદિરની આરતીમાં વપરાતાં ઝાલર ઝાંઝરી અને ચંગ જેવાં લોક વાદ્ય હોય, કે શરણાઈ એ બધામાં એને બ્રહ્મ નાદ સંભળાય છે.
૪)સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે,
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં … ધ્યાન ધર.
અહીં નરસિંહ, બે પ્રેમીજન વચ્ચેનાં એકાંતમાં ઉદ્ભવતાં ભાવને એકદમ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે, પણ અહીં ભગવાન અને ભક્ત વચ્ચે ભાવનું યુદ્ધ છેડાય છે, અને બંને એકબીજા પર નજરનાં વાર કરે છે, અને પછી સ્વામી વિલાસ રસ તરફ આગળ વધી ભક્તનાં દેહમાં દેહી જેમ આત્મસાત થઈ, મિલનનું અપ્રિતમ સુખ પ્રદાન કરે છે, અને આમ નરસૈંયાના સ્વામી અંતરમાં રમમાણ થઈ અને બધા દુક્રિત એટલે કે પાપ કર્મનો નાશ કરે છે.
નરસિંહની રચનામાં શબ્દોની એવી રસાકસી હોય કે શ્રૃંગાર રસનાં પદમાં એ વેદાંતી વૈરાગ્યને કે ભક્તિની પરાકાષ્ઠાનાં ઉચ્ચ ભાવને સહજતાથી મૂકી દે! અને એ જ રીતે વૈરાગ્ય કે વિરતીનાં પદમાં શ્રૃંગારને વણી લેતાં શબ્દો મૂકી ભક્તિ ભાવમાં પ્રેમરસને પીરસી મન ભરી નચાવે. માનવીમાં આંખ દ્વારા જે જોયું હોય, એનું ચિત્રણ ચિત્ત પર બહુ લાંબો સમય સુધી રહે છે, અને એ રીતે મનમાં વિકાર પ્રવેશે, મન મલિન થાય છે. જેમ બહાર જોવું જરૂરી છે, એટલું જ પોતાની ભીતર જોવું પણ જરૂરી છે, અને ત્યાં એને પોતાનાં અવગુણ દેખાય! ગુણ અવગુણની સમીક્ષા કરતાં કરતાં અંતરને શુદ્ધ કરીએ એટલે આત્મ તત્વની પ્રતિતિ થાય! દિન પ્રતિદિન આ ભાવની પુષ્ટિથી ભીતર ઈષ્ટદેવનો અનુભવ થાય, અને પછી એનું મનોહર રુપ નેત્રમાં અંજાઈ જાય, બધે એનાં જ દર્શન કરે, એટલે ચિત્ત પર પણ આજ ચિત્રણ રહે, અને ધ્યાન ધરનાર જેવી જ ઈષ્ટની સ્મૃતિ સતત બની રહે. નરસિંહનાં ઈષ્ટ શ્રીકૃષ્ણ છે,એટલે ચિત્ત વૃંદાવન બન્યું, અને એની કુંજ ગલીઓમાં એને રાધા સાથે મનભાવન લીલા કરતાં શ્રીકૃષ્ણ દેખાયા, અને એનું મન પ્રસન્નતામાં પરોવાઈ જઈ, આ જ સર્વ શ્રેષ્ઠ છે, બીજું મેળવવાની ચંચળતા છોડી દે છે, અને એ રીતે કર્મ ભાવ છૂટે. નિષ્કામ કરતાં પણ વધુ અકામ એટલે કે અકર્તા ભાવ મહત્વનો છે. સાધકને આવું જાગરણ કરાવી નરસિંહ પોતાની પંક્તિમાં કુંડલિની જાગરણનાં ચક્રોને રમાડે છે, ભીતર નાદ પ્રગટ કરી દ્વૈતમાં અદ્વૈત, અને અદ્વૈતમાં દ્વૈત બની સાકાર અને નિરાકાર રૂપે પરમ તત્વની પુષ્ટિ કરે છે. મેઘ રુપે પ્રેમધારે વરસીને પ્રેમઘેલી ધરતીની મનોસ્થિતિ વર્ણવતાં કહે છે, વાદળોનાં આ ગડગડાટમાં, એટલે કે શ્રાવણનાં સાદમાં એને ઘડીક મોરલીનો નાદ સંભળાય, તો ઘડીકમાં ઝાલર ઝાંઝરી અને ચંગ જેવાં વિરક્ત કરનારાં વાદ્ય સંભાળાય! આ મેઘ તો હમણાં જતો રહેશે, અને ફરી તું વિરહી બનીશ! માટે આ ક્ષણને પકડી લે! અને એટલે જ છેલ્લી પંક્તિમાં નરસિંહ સુરત સંગ્રામ એટલે કે મેઘ તાંડવ રચી આકાશ અને ધરતીનું મિલન કરાવે છે. આકાશ વીજળી અને વાદળોનાં ગડગડાટથી, હું આવું છું! આવું છું! એમ પ્રેમ પોકાર કરે છે, અને ધરતી પોતાનું તપ્ત હૃદય ઠરશે, એમ ચાતક જેમ આકાશે દ્રષ્ટિ માંડી રાહ જુવે છે. અંતે બારે મેઘ ખાંગા થયા અને આ શીતયુદ્ધ સમાપ્ત થયું, સ્વામીએ મન ભરી પ્રેમ અમી વરસાવ્યાં અને એ વિલાસથી ધરતી લીલીછમ બની, પ્રેમનાં ધોધમાં પાપ બધાં ધોવાઈ ગયાં, અને હરિયાળી છવાઈ ગઈ. આપણે બહુ નસીબદાર છીએ કે શેઠ શામળીયો જેનો દાસ બની જીંદગીભર ચાકરી કરતો રહ્યો એ નરસિંહની રચનાઓનો રસાસ્વાદ નરસિંહ જ કરાવી રહ્યાં હોય, એમ એનાં તાત્વિક અર્થ સદગુરુ કરાવે છે. વાત મૂળમાં જાગવાની છે, અને એટલે વિષયોમાંથી કે સંબંધમાંથી થોડું જાગવાનો પ્રયોગ કરી નરસિંહને મળી હતી, એ અંતર ભાળની સૂરતી આપણને પણ પ્રાપ્ત થાય એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

