ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પહેલાં માનવી પ્રવાસ માટે પગપાળા, ઘોડા, હાથી, ઘોડાગાડી, સાયકલ, સ્કૂટર, બાઈક, બસ ટ્રેન, પ્લેન આમ સાધનોની સ્પીડ વધતી જ ગઈ! અને આ બધું જ માનવીની બુધ્ધિની કમાલ છે! અને એને કારણે એ આજે સ્માર્ટફોન થકી ચંદ સેકન્ડમાં પૂરાં વિશ્વમાં જ્યાં ઈચ્છે ત્યાં વાત કરી શકે છે, અને એની વિશે જાણકારી મેળવી શકે છે. પણ બૌદ્ધિકતાનો નશો એવો ચડ્યો કે માનવીની સુખ સાધન, સુવિધાની ભૂખ વધતી જ ગઈ! પેટની ભૂખ તો બે રોટલી ખાવાથી મિટે , પણ રોટલી નહીં મને તો પેલા વ્યક્તિની જેમ બત્રીસ પકવાન જોઈએ, એ વૃત્તિ નડી ગઈ! અને એ રીતે પ્રાથમિક જરૂરિયાતમાં પણ વિવિધતાનાં વિકલ્પો શોધવાં લાગ્યો! અને આસાનીથી મળે નહીં તો છીનવી લેવું એવી માનસિક્તા ભર્યા જીવન એ એની શાંતિ છીનવી લીધી! અને અશાંતિનું પરિણામ એ આવ્યું કે, પોતાને જે મળે નહીં, એ બીજાને પણ મળવું જોઈએ નહીં! કાર્યક્ષેત્રમાં તો ઠીક પણ પરિવારમાં પણ આવી વિકૃત માનસિકતા પ્રવેશી જાય ત્યારે, ઘર કુરુક્ષેત્રનાં રણમેદાન જેમ એકબીજાનાં સ્વાભિમાન પર વાર કરે, અને આ રીતે સંબંધો તૂટતાં જાય ! એમાં પરિવારમાં જો કોઈ સાધક હોય અને એ ઈન્દ્રિયો ને સમ કરવા કે શાંત કરવાથી જ શાંતિ એવમ આનંદ સુધી પહોંચી શકાય એમ છે, એવો ઉપદેશ આપે! અને પોતે તો ભોગ વિષયોથી પર થઈ સાધનામાં ઘણો આગળ નીકળી ગયો છે, એવું જણાવે! ત્યારે નક્કી કરવું મુશ્કેલ છે કે કહેવાતાં અર્જુનને બોધની જરુર છે, કે પછી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવત્ ગીતા જાણે પોતે જ કહી હોય એમ બોલનારને બોધની જરુર છે? તો આવા જ અર્થ અને ભાવને રજૂ કરતો ભગવત્ ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં 16 માં શ્લોક વિશે ચિંતન કરીશું.
નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનેશ્નતઃ ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન |૧૬|
આ શ્લોક ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને કહે છે કે હે અર્જુન!જે માણસ બહુ વધારે ખાય છે, અથવા બિલકુલ ઉપવાસ કરીને શરીરને કષ્ટ આપે છે, બહુ ઊંઘે છે, અથવા અતિશય જાગતો હોય, એવા મનુષ્યનો યોગ સિદ્ધ થતો નથી.
**નાત્યશ્નતઃ
ન+ અતિ + અશ્નતઃ
બહુ વધારે ખાવાવાળાનો, આવી વ્યક્તિ માટે ગુજરાતીમાં વૃકોદર છે, ખાઉધરો છે, કોઈ ભીમ છે, એવું પણ કહેતાં હોય. કોઈ ગરીબની સામે ભાવતાં ભોજન ભરેલ થાળ આવે, અને એ થોડીવારમાં ખાય જાય, અને હજી બીજું માંગે, એ તો કદાચ સમજી શકાય, પણ રોજ મળતું હોય છતાં, એ જ ખાઉધરા પણું એની અહીં વાત છે.
**યોગોઙસ્તિ
યોગઃ + અસ્તિ.
યોગ સિદ્ધ થતો નથી, બહુ ખાઈ લેવાથી ક્ષણિક સુખ મળે, પણ એ રોગ ને નોતરે છે, યોગ એટલે કે આનંદઘન પરમાત્મા સાથે જોડે છે, એવું તો ક્યારેય સિદ્ધ થતું નથી.
**ચૈકાન્તમનશ્નતઃ
ન+ચ+ એકાન્તમ્+ અનશ્નતઃ
અને બિલકુલ ન ખાવાવાળાનો પણ નહીં, સાધનાને નામે ઈન્દ્રિયો પર સંયમ મેળવવા માટે જે અતિ ઉપવાસ કરે છે, કે પછી અન્ય કોઈ રીતે ખોરાક લેતાં નથી, એ પણ યોગી નથી.
** ન ચાતિસ્વપ્નશીલસ્ય
ન+ ચ+ અતિ સ્વપ્નશીલ.
બહુ ઊંઘ કરનારનો પણ નહીં, એટલે કે અતિ નિંદ્રા, અતિનિંદ્રા સમાધિ નથી, અને એટલે ખૂબ સૂતાં રહેવાથી પણ યોગ સિદ્ધ થતો નથી.
** જાગ્રતો નૈવ ચાર્જુન,
જાગ્રતઃ + ન+ એવ+ અર્જુન.
તથા અતિશય જાગવું નહીં, અને એજ રીતે સતત જાગીને નિંદ્રાથી દૂર રહેનાર પણ યોગી નથી.
ભગવાન શ્રીકૃષ્ણ આંખી ગીતા અર્જુનને સંબોધીને કહે છે, અને જે રીતે બંનેમાં મિત્ર ભાવ હતો, બંને ખૂબ સાથે રહ્યાં હતાં! અને છતાં શું અર્જુનને સમજાવતાં શ્રીકૃષ્ણને અઢાર અધ્યાય બોલવાં પડ્યાં હોય! બિલકુલ નહીં! પરંતુ સમયચક્રનાં આરા પર જ્યારે કળિ પ્રભાવ વધશે ત્યારે માનવીની માનસિકતામાં કેટલુંય પ્રવેશી ગયું હશે, અને ખાસ કરીને માનવીની બધાં જ પ્રકારની ભૂખ પ્રદિપ્ત થઈ ગઈ હશે! અને ત્યારે એને સમ્યકતાનો બોધ કંઈ રીતે આપવો, એ માટે અહીં ભગવાન શ્રીકૃષ્ણ અતિની વાતને ટાંકીને કહે છે કે, જીવ જન્મ માટે જેમ શરીર જરુરી છે, બસ બિલકુલ એ જ રીતે યોગ અને સાધના માટે પણ શરીર સાધન છે, અને એને સાચવવું જરૂરી છે.એને અતિ પોષણ આપવાથી પણ આ સાધન અટકી શકે, અને પોષણ આપે નહીં તો પણ એ ખોટકાઈ જાય! શરીર નામનાં સાધન માટે બે ક્રિયા અત્યંત મહત્વની છે, એક આહાર દ્વારા પોષણ અને બીજું નિંદ્રા દ્વારા આરામ અથવા જતન! અને એટલે અહીં આ બે ક્રિયામાં સમતોલન જાળવે એ યોગી એવું ભગવાન શ્રીકૃષ્ણ કહે છે.
પરંતુ શું અહીં આ શ્લોક ટાંકવાનો માત્ર આટલો જ સંદર્ભ હશે? કારણ કે વૈદિક શાસ્ત્રોનાં કે ભગવત્ ગીતાનાં શ્લોક રુપે કહેવાયેલાં શબ્દો એ જ સાધકનો આધ્યાત્મિક ખોરાક છે! કોઈપણ શબ્દનો પ્રથમ અર્થ ઈશ્વર છે, અને તેથી આપણે ત્યાં શબ્દ બ્રહ્મ એવો શબ્દ પ્રચલિત છે. શરીર શબ્દને ઈશ્વરનું ક્ષેત્ર ગણવામાં આવે તો, અન્ય ક્ષેત્રોમાં જેમ લંબાઈ, પહોળાઈ, અને ઉંચાઈ કે ઉંડાઈ, એમ ત્રણ પરિમાણ હોય, એમ શરીરને પણ ત્રણ પરિમાણ હોય. એટલે જ શાસ્ત્રોમાં સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ એમ શરીરનાં ત્રણ પરિમાણ બતાવ્યા છે! અથવા તો ત્રણ શરીરની વાત આવી છે. એ રીતે આ માત્ર સ્થૂળ અને સુક્ષ્મ અર્થ છે, કારણ શરીરનાં પોષણ વગર અધ્યાત્મ કાંતિ કરી શકે નહીં! એટલે કે આભા વલયની પૃષ્ટિ માટે શું ખાવું, અને શું નહીં? એ ભેદ પારખવો જરુરી છે! સાત્વિક આહાર તો છે જ, પણ શરીર રુપી સાધનનાં પોષણ માટે જે ખાઈએ છીએ, એ કોઈનાં હકનું તો નથીને? એ સાવધાની પણ જરૂરી છે. કે પછી કેટલાંયને જમાડી શક્યો હોત! છતાં મેં એકલા એ જ ખાધું? અથવા તો જગતગુરુ શંકરાચાર્યનાં કહેવાં અનુસાર ભૂખ એ રોગ છે, અને આહાર એ જ ઔષધી! તો દરેક ક્ષેત્રની વધતી જતી ભૂખ માટેની આહાર રુપ ઔષધિ શું છે? અને તુલસી કહે છે, હરિનામ એક જ એવો આહાર છે, જેમાં આરામ અને વિશ્રામ પણ છે. એટલે શરીરને સાધનાનાં નામે થકવ્યા વગર જોઈતી નિંદ્રાથી પણ ઈશ્વર સુધી પહોંચી શકાય છે. સુવું જાગવું એ ક્રિયા તો છે જ, પણ જાગવુંનો એક અર્થ જાગૃત થવું, એટલે કે ફક્ત શરીર સુખ માટે ન વિચારતાં સાધના વિશે પણ વિચારવું! ભોગ કે વિષયોની લોલુપતા વધે ત્યારે શરીરને સાવધાન મોડમાં લાવી સ્વયંને કહેવું, હવે બહુ થયું! કે બસ હવે! અને એજ રીતે અતિ જાગવું એટલે કે સાધક યોગ વિશે પોતે બધું જ જાણે છે, અને એ રીતે અહમ વધે ત્યારે પણ, ખુદને રોકી લેવાં કે અહમ એ યોગ વિરુદ્ધ લઈ જતી વૃત્તિ છે. ટૂંકમાં ભગવાન આપણને સંસારી ભોગ રસમાં સમ્યક રહેવાં કહે છે, અને જે રહી શકે એ સંસારી હોવા છતાં યોગી છે. સંસારીઓ માટે કળિયુગમાં એટલે જ હરિનામ સંકીર્તનને શ્રેષ્ઠ સાધન કહ્યું છે, અને એ રીતે આપણી ભૂખને સમ્યક બનાવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

