Kheda,તા.૪
ખેડા તાલુકાના રઢુ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ૩૦૦ ફૂટ લાંબો પુલ બાંધવામાં આવ્યો હતો, જેના કારણે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો, તેની ફરિયાદો સામે વહીવટીતંત્રે આંખ આડા કાન કર્યા હતા. જોકે, બુધવારના રોજ કલેક્ટર તરફથી આદેશ મળ્યા બાદ પુલ રાતોરાત તોડી પાડવામાં આવ્યો હતો.
ખાણ અને ખનીજ વિભાગની દેખરેખ હેઠળ જિલ્લામાં નદીઓમાંથી અનિયંત્રિત રેતી ખનન થઈ રહ્યું છે. ખેડા તાલુકાના રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી જમીન માફિયાઓ લાંબા સમયથી રેતીનું ખોદકામ કરી રહ્યા છે. ભૂ-માફિયાઓએ નદીનો પ્રવાહ રોકી દીધો હતો અને નદીમાં અવરજવર માટે ૧૫ પાઇપની મદદથી પુલ બનાવ્યો હતો. જેના પરથી ખાણ માફિયાઓના વાહનો નિયમિતપણે પસાર થતા હતા. સ્થાનિક લોકોએ આ અંગે વહીવટીતંત્રને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આખરે રઢુ ગામના સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. થોડા દિવસ અગાઉ જ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
સ્થાનિક અધિકારીએ મામલતદારને સ્થળની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો અને ખેડા મામલતદાર અને ખાણ અને ખનીજ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું અને નદી પર ગેરકાયદેસર પુલ શોધી કાઢ્યો હતો. ઘટનાસ્થળની મુલાકાત લઈને અને રિપોર્ટ મેળવ્યા બાદ કલેક્ટરે તાત્કાલિક ગેરકાયદેસર પુલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને બુધવારે રાત્રે પોલીસના સહયોગથી ગેરકાયદેસર પુલ તોડી પાડવામાં આવ્યો હતો.
ખેડા મામલતદાર તરફથી જાણવા મળ્યું છે કે, આ પુલ કોણે બનાવ્યો તે અંગે કોઈ માહિતી નથી. સમગ્ર મામલાની તપાસ ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવી છે. ખાણ અને ખનીજ વિભાગની ટીમનો દાવો છે કે તેઓ નિયમિત નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ જો નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય તો વાત્રક નદી પર બનેલા પુલ પર વહીવટીતંત્રનું ધ્યાન કેમ ન ગયું અથવા તે અંગે જાણ હોવા છતાં વહીવટીતંત્રે આંખ આડા કાન કેમ કર્યા તે સૌથી મોટો પ્રશ્ન છે.