New Delhi,તા.23
ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી પેટ્રોલીયમ કટોકટીમાં હવે સરકારે એક મહત્વના પગલામાં દેશભરમાં નવા એલપીજી (રાંધણગેસ) કનેકશન આપવાનું બંધ કરી દીધુ છે. તમામ ઓઈલ કંપનીઓને આદેશમાં સરકારે રાંધણગેસની હાલની સ્થિતિ જોતા હાલ નવા કનેકશન સ્થગીત કરી દીધા છે અને તે ફરી કયારે ચાલુ કરાશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઈરાન યુદ્ધના કારણે દેશમાં એલપીજી માટે લાંબુ વેઈટીંગ લીસ્ટ બન્યું છે. જો કે સરકારે શકય તેટલો એલપીજી પુરવઠો આયાત કરીને દેશમાં તંગી સર્જાય નહી તે નિશ્ચિત કરવા પ્રયાસ કર્યો હતો. પણ હોર્મુજ જળમાર્ગ બંધ થવાથી તથા અન્ય માર્ગો પરથી પણ આયાત ખૂબજ મુશ્કેલ છે.
કતાર જે ગેસનું સૌથી મોટું નિકાસકાર છે તેના ટર્મીનલ પર હુમલાના કારણે ચારથી છ માસ સુધી ત્યાં ગેસ ઉત્પાદન- સપ્લાય શકય નથી. આજે પેટ્રોલિયમ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પત્રકાર પરિષદમાં આ સ્વીકારતા કહ્યું કે હાલ કોઈ નવા એલપીજી કનેકશન અપાતા નથી.
સરકારે તે `હોલ્ડ’ પર મુકયા છે અને તે ફરી કયારે શરુ કરાશે. તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આ અંગેના ઈ-સેવાના સરકારી પોર્ટલ પર નવા કનેકશન એક વખત સ્થિતિ સ્થિર થયા બાદ શરૂ કરાશે તેવું જણાવાયુ છે.
ભારત પેટ્રોલીયમે પણ એક પ્રશ્નના જવાબમાં નવા કનેકશન પર હાલ પ્રતિબંધ અને ડીલરોને જે કનેકશન ચાલુ છે તેમાં રીફીલીંગમાં અગ્રતા આપવા સૂચના આપી છે. સરકારે અગાઉ જ જયાં પાઈપલાઈન મારફત (પીએનજી) ગેસ ઉપલબ્ધ હોય ત્યાં ત્રણ માસમાં આ કનેકશન લઈ એલપીજી કનેકશન સરન્ડર કરવા જણાવ્યું છે.

