Jammu and Kashmir તા.25
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ આજે પ્રતિબંધીત જમાત એ ઈસ્લામી કાશ્મીર સાથે કાશ્મીરમાં મોટું અભિયાન ચલાવીને મધ્ય અને દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં દરોડા પાડયા હતા.
શંકાસ્પદોના ઘરમાં તપાસ થઈ હતી. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને ફરીથી સક્રીય કરવાના કથિત પ્રયાસોની તપાસના બારામાં કરવામાં આવી હતી.
એનઆઈએની ટીમો, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધ સૈનિક દળની મદદથી શ્રીનગરના લાલ બજાર વિસ્તાર અને દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના અનેક સ્થળો પર એક સાથે તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરોડા પાડવામાં આવેલા સ્થળોએ શોપિયા જિલ્લાના જૈનાપોરાના મુલુ ચિત્રગામ વિસ્તારમાં એક વ્યક્તિનું ઘર પણ સામેલ છે.
સૂત્રો અનુસાર એ વ્યક્તિ કથિત રીતે જમાત એ ઈસ્લામી સાથે જોડાયેલો હતો અને શોપિયા જિલ્લાના અમીર-એ-જમાત રહી ચુકયો છે. આ ઉપરાંત તે જામીયા સિરાજ-ઉલ-ઉલુમ ઈમામ સાહિબ સાથે પણ સંકળાયેલો હોવાનું બતાવાઈ રહ્યું છે.
શોપિયાના ઈમામ સાહિબ વિસ્તારમાં આવેલ જમાત-એ-ઈસ્લામ સાથે સંકળાયેલા સિરાજ-ઉલ-ઉલુમ સંસ્થાનમાં પણ તલાશી લેવામાં આવી હતી. અધિકારીઓના અનુસાર આ દરોડા એનઆઈએની એ તપાસનો ભાગ છે.
જેમાં જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ અને ભારત-વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવા માટે જમાત-એ-ઈસ્લામીની ગતિવિધિઓને ફરીથી સક્રીય કરવાના કથિત પ્રયાસોની તપાસ કરવામાં આવી રહી છે.

