(મિલાપ રૂપારેલ) Amreli, તા.4
અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક, 11 તાલુકા પંચાયતની 190 બેઠક તથા અને 6 નગર પાલિકાના 46 વોર્ડની 184 બેઠક માટેની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા જ અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેના કારણે હવે ખાતમુહૂર્ત, લોકાર્પણ જેવા કાર્યક્રમો પર રોક લાગી ગઈ છે.
અમરેલી જિલ્લામાં કુલ 408 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં પંચાયતોમાં 864877 અને પાલિકાઓમાં 210677 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લામાં 1324 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો, 11 તાલુકા પંચાયતોની કુલ 190 બેઠકો અને 6 નગરપાલિકાઓની 184 બેઠકો માટે મતદાન યોજાશે.
અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગર પાલિકાઓની ચૂંટણીઓ માટે આગામી તા 6 એપ્રિલથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થશે. જે તા. 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકશે.ભરાયેલ ઉમેદવારીપત્રની ચકાસણી તા. 13 ના રોજ થશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની અંતિમ તા 15 એપ્રિલ રહેશે. જ્યારે મતદાનની તા. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજનાં 6 સુધી રહેશે. જ્યારે થયેલ મતદાનની મત ગણતરી 28 અપ્રિલના રોજ કરવામાં આવશે.
અમરેલી સ્થાનિક પંચાયતના ઈતિહાસ પર નજર કરીએ તો હાલ 11માંથી 10 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. છેલ્લા 15 વર્ષથી જિલ્લા પંચાયતમાં ભાજપનું દબદબો રહ્યો છે.માત્ર પાટીદાર અનામત આંદોલન દરમિયાન એક સમય એવો આવ્યો હતો કે, ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો.
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ગામડાઓમાં રાત્રિ સભાઓ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારોની જાહેરાત બાદ પ્રચાર-પ્રસાર વધુ તેજ બનશે.

